Mysamachar.in-જામનગર:
જામનગરમાં હજારો લોકો એવા છે જેમના જર્જરીત મકાનો, નિયમ અનુસાર તોડી પાડવામાં આવ્યા છે. આ હજારો લોકોને, મકાનો તોડી પાડવા અગાઉ એવા આંબા-આંબલી દેખાડવામાં આવ્યા હતાં કે તમને આ જર્જરીત મકાનોના બદલે નવા અને મોટા મકાનો આપવામાં આવશે. આ હજારો લોકો હાલ દોઢેક કરતાં વધુ વર્ષથી ‘રોડ પર’ આવી ગયા છે ! કારણ કે, સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી મુજબ, જામનગરમાં એક પણ કોન્ટ્રાક્ટરને સરકારનું અથવા કોર્પોરેશનનું કામ કરવામાં રસ નથી !
આ તોડી પાડવામાં આવેલા સેંકડો મકાનો પૈકી અમુક મકાનો સાધના કોલોનીમાં અને અમુક મકાનો 1404 આવાસ યોજનામાં હતાં. સાધના કોલોનીનો મામલો ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક છે અને 1404 આવાસ યોજનાનો વિષય કોર્પોરેશન હસ્તક છે. હાઉસિંગ બોર્ડે સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી મુજબ અહીં નવા મકાનોના નિર્માણ માટે ઘણી વખત ટેન્ડર બહાર પાડ્યા. પણ હાઉસિંગ બોર્ડનું આ કામ કરવા, એક પણ પાર્ટી રાજી નથી.

એ જ રીતે 1404 આવાસ યોજનાની જગ્યાએ નવા મકાનોના નિર્માણ માટે, મહાનગરપાલિકાએ પણ એક કરતાં વધુ વખત ટેન્ડર બહાર પાડ્યા છે. પરંતુ એક પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર પાર્ટી કોર્પોરેશનના આ કામમાં રસ દેખાડતી નથી. શા માટે કોન્ટ્રાક્ટરને કામ કરવામાં રસ નથી ?! એ પ્રશ્ન મહત્વપૂર્ણ છે.
રાજ્યના અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોમાં સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી સફળ રહી છે. સેંકડો સોસાયટીઝ રિ-ડેવલપમેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. તેથી ઉલટુ- જામનગરમાં રિ-ડેવલપમેન્ટ પ્લાન મુજબ ખાનગી કોન્ટ્રાક્ટરોને ન તો હાઉસિંગ બોર્ડની ઓફરમાં રસ પડે છે, ન તો કોર્પોરેશનની ઓફરમાં રસ પડે છે !

જાણકાર સૂત્રોના કહેવા અનુસાર, જામનગર મહાનગરપાલિકાએ તથા હાઉસિંગ બોર્ડે જામનગર માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને જે ‘ઓફર’ કરી છે, તે ઓફરો કોન્ટ્રાક્ટરને પરવડે એવી નથી. રાજ્યના અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટરોને હાઉસિંગ બોર્ડના તથા કોર્પોરેશનના આ પ્રકારના કામો ‘પોસાય’ છે, તો જામનગરમાં કેમ પોસાતા નથી ?! જામનગરને લાગેવળગે છે ત્યાં સુધી, હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનની ઓફર લાભપ્રદ નથી? ઓફરો રાજ્ય સરકારની રિ-ડેવલપમેન્ટ પ્લાનની ગાઈડલાઈન અનુસારની નથી ? કે, જામનગરમાં કોન્ટ્રાક્ટરો ‘મોટાલાભ’ની આશા અપેક્ષાએ બોર્ડ અને કોર્પોરેશનની ઓફરો સ્વીકારવા રાજી થતાં નથી ?
અને, આ બંને મામલાઓ હજારો લોકો સાથે સંકળાયેલા છે. માથા પરની છતની વાત છે. આમ છતાં જામનગરમાં હાઉસિંગ બોર્ડ તથા કોર્પોરેશનના આ કામો માટે બિલ્ડર હોંશેહોંશે તૈયાર થઈ જાય- એ પ્રકારનું વાતાવરણ તૈયાર કરવા, કોઈ આગળ કેમ નથી આવતું ? કે કોઈને લોકોના આ કામમાં રસ નથી ? અત્રે ઉલ્લેખનિય છે કે, આ જર્જરીત મકાનો તોડી પાડવામાં આવ્યા એ અગાઉ રહેવાસીઓને ‘ફોસલાવવા’ ઘણી બેઠકો થતી, ફોટોસેશન પણ થતાં, હવે મામલો જ્યારે નિર્ણાયક અને અંતિમ તબક્કે પહોંચવા પર છે ત્યારે, કોઈને ફોટોસેશનમાં રસ નથી પડતો ? આ હજારો લોકોને ટાઢ-તડકો અને વરસાદથી રક્ષણ આપી શકાય- એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં, રાજ્યમાં માત્ર જામનગરમાં જ વિલંબ શા માટે ? હજારો રહેવાસીઓ હાથોમાં કાગળિયા લઈ દર-બ-દર ભટકી રહ્યા છે, એમનું કોઈ નથી- એવો નિસાસો આ હજારો નાગરિકોના અવાજમાં પડઘાઈ રહ્યો છે.(file image)
