Mysamachar.in-જામનગર:
જામનગર-હાલાર અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત તબીબી સંસ્થા જામનગરની જી.જી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ જવા પામતાં ચકચાર મચી ગઈ છે. અહીં સરકાર સાથે છેતરપિંડીઓ થઈ છે અને લાખો રૂપિયાની ઉચાપત થઈ હોય, છેક ગાંધીનગરથી ખાસ તપાસ ટીમ જામનગર દોડી આવી હોય, આગામી સમયમાં મોટા કડાકાભડાકાની શકયતાઓ જોવાઈ રહી છે.
જી.જી હોસ્પિટલમાં સેંકડોની સંખ્યામાં આઉટસોર્સ કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓના લાખો રૂપિયાના વેતન સહિતના બિલો તથા વાઉચર બનતાં હોય છે. આ નાણાંકીય વહીવટ યોગ્ય રીતે થાય છે કે કેમ, તે તપાસવાની જવાબદારીઓ હોસ્પિટલના ઉપાડ અને વહેંચણી અધિકારીની હોય છે, પરંતુ આ મામલામાં આ જવાબદાર અધિકારી ખુદ એમ કહે છે કે, મને અંધારામાં રાખીને આ કાંડ થયો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, સરકારના નાણાં કોઈ કૌભાંડમાં જતાં રોકવાની જેમની જવાબદારીઓ હોય, એ અધિકારી ખુદ આંખો મીંચી નાણાંકીય લેતીદેતીઓના કાગળોમાં સહી કરી આપતાં હોય તો, લોકોને પ્રથમ શંકાઓ એ થાય કે, આ અધિકારીને આંખો મીંચી જવાનો લાભ આપવામાં આવ્યો હશે ?!

જીજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત ડો. ભાવિન કણસાગરા અહીં ઉપાડ અને વહેંચણી વિભાગમાં લાંબા સમયથી ઈન્ચાર્જ છે. એમની સહી વિના સરકારી નાણું કોઈના પણ બેંક એકાઉન્ટમાં જમા ન થઈ શકે. આ ઉચાપતના મામલામાં જે છેતરપિંડીઓ થઈ છે તે કાગળોમાં આ અધિકારીની પણ સહીઓ છે અને આ અધિકારી કહે છે કે મને અંધારામાં રાખી આ છેતરપિંડીઓ આચરવામાં આવી છે.
ડો.ભાવિન કણસાગરા ખુદ આ આખા મામલામાં ખૂબ જ મહત્વપૂર્ણ અધિકારી છે પરંતુ કોઈ કારણસર એમને આ મામલામાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે. આરોપીઓ તરીકે બે નાના અને આઉટસોર્સના કર્મચારીઓના નામો જાહેર થયા છે. પરંતુ જાણકાર લોકો કહે છે કે એકલદોકલ નાના કર્મચારીઓ હોસ્પિટલની નાણાંકીય વ્યવસ્થાઓમાં કૌભાંડ કરી શકે નહીં. આથી આ કૌભાંડનું કદ મોટું છે એવું પોલીસ તપાસમાં ખૂલી શકે છે અને આ કૌભાંડમાં જાહેર થયેલાં આરોપીઓ સિવાય અન્ય લોકો પણ આરોપીઓ હોય શકે છે એવું પણ તપાસમાં બહાર આવી શકે. પોલીસ તપાસ ઉપરાંત આ મામલામાં ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસમાં ઉતરી પડી હોય, મામલો આગામી સમયમાં વધુ ચકચારી બની શકે છે.
આ મામલામાં ફરિયાદી ડો. ભાવિન કણસાગરાએ FIR માં આરોપીઓ તરીકે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઈ મુંગરાના નામો લખાવ્યા છે. અને, હાલ પ્રાથમિક રીતે રૂ. 17.20 લાખની ઉચાપત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. ભાર્ગવ ત્રિવેદી દિગ્વિજય પ્લોટમાં અને દિવ્યા મુંગરા કૃષ્ણનગરમાં વસવાટ કરે છે અને હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓ તરીકે લાંબા સમયથી કાર્યરત છે.

-તિજોરી કચેરીએ હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન ન દોર્યું હોત તો…?!
જી.જી હોસ્પિટલના ઈન્ચાર્જ ઉપાડ-વહેંચણી અધિકારી(ફરિયાદી) ખુદ જણાવે છે કે, આ સમગ્ર મામલાની જાણ અમોને તિજોરી કચેરીએ કરી હતી. તેનો અર્થ એ થઈ શકે કે, જીજી હોસ્પિટલ સત્તાવાળાઓ આ મામલામાં છેક સુધી આંખો બંધ રાખી કામ કરતાં રહ્યા. એટલે કે, હોસ્પિટલનો ઓડિટ વિભાગ પણ અંધારામાં ! (કે, સૌની આ મામલામાં સામેલગીરી રહી ? એ જો કે તપાસનો વિષય લેખાવી શકાય). ધારો કે તિજોરી કચેરીએ આ મામલામાં હોસ્પિટલ સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું ન હોત તો, આ કૌભાંડ વર્ષો સુધી ચાલતું રહ્યું હોત. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ મામલો 2023થી ચાલતો રહ્યો. અત્યાર સુધી હોસ્પિટલ સત્તાવાળા આ મામલે અંધારામાં રહ્યા એ આખી વાત શંકાઓ ઉપજાવનારી જણાઈ રહી છે.(FILE IMAGE)
