Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતમાં બેફામ લાલિયાવાડીઓ ચાલી રહી છે. જાણે કે, અબજો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી અને જિલ્લાના લાખો ગ્રામજનોની સુવિધાઓ અને સુખાકારીઓ માટે સીધી જવાબદાર એવી આ સંસ્થાનું કોઈ રણીધણી ન હોય તેવો ઘાટ છે ! સૌ વાતો કરે છે, પરિણામ નામે મોટું મીંડુ.
હાલમાં ઘણાં દિવસોથી ચોમાસા પહેલાંનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે. આ દિવસોમાં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સમગ્ર જિલ્લામાં જળસંચયના ઉમદા હેતુ માટેના સંખ્યાબંધ કામો ઝડપભેર કરવાના હોય. તો જ આ કામોના કારણે ચોમાસામાં સમગ્ર જિલ્લાની જળસંચય ક્ષમતા વધે, જેનો લાખો ખેડૂતો સહિતના ગ્રામજનોને લાભ મળી શકે. જિલ્લાના અર્થતંત્રમાં પણ બરકત આવી શકે અને ભૂગર્ભજળની ગુણવત્તા તથા સ્તર પણ સુધારી-વધારી શકાય. પરંતુ અફસોસની વાત એ છે કે, જામનગર જિલ્લાના લાખો ગ્રામજનો કમનસીબ છે કેમ કે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં બેફામ લાલિયાવાડીઓ ચાલી રહી છે અને આ સંસ્થાનું જાણે કોઈ રણીધણી ન હોય તેવો ઘાટ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિ.પં.માં જળસંચયના જે સિવિલ કન્સ્ટ્રક્શનના કામો છે તેમાં શાસકપક્ષ અથવા વિપક્ષ- કોઈને કશો વાંધો નથી. લાખો રૂપિયાના કામો ‘સંપ’થી ચાલી રહ્યા છે. પરંતુ જળસંચયના જે ‘માટીકામ’ છે તેમાં જબરો ઉહાપોહ છે. જિ.પં.ની આ વર્ષની જનરલ બોર્ડની પ્રથમ જ બેઠકમાં, થોડા દિવસ અગાઉ શાસકપક્ષ તથા વિપક્ષે સાથે મળી નક્કી કરી નાંખ્યુ કે, સમગ્ર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગતના બધાં જ માટીકામ રદ્દ.
કલ્પના કરો: આવડા મોટા જિલ્લામાં સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સેંકડો માટીકામ રદ્દ થઈ જાય તેવી સ્થિતિઓમાં જળસંચય પ્રવૃત્તિઓને કેવડો મોટો ફટકો પડે. લાખો કરોડો લિટર કિંમતી વરસાદી પાણીનો સંગ્રહ ન થઈ શકે, પાણી દરિયામાં વહી જાય. આટલી ગંભીર બાબતમાં પણ જિ.પં. ‘બાલિશ’ વર્તન દાખવી ચૂકી છે !

-માટીકામ રદ્દ ના આ નિર્ણય બાદ શું ચાલી રહ્યું છે ?..
જિ.પં.માં માટીકામો એકઝાટકે રદ્દ થઈ ગયા બાદ અહીં એક કમિટીની રચના થઈ જેમાં જિ.પં.ના પૂર્વ પ્રમુખ, વર્તમાન ઉપપ્રમુખ અને વિપક્ષના નેતા સહિત કુલ 6 અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો.આ કમિટીએ તાજેતરમાં જિલ્લાના નવા નાગના, અલીયા, વરણાં સહિતના અગિયાર ગામોની મુલાકાતો લીધી. આ મુલાકાતમાં કમિટીએ જોયું કે, જ્યાં માટીકામની જરૂરિયાત ન હોય એવી જગ્યાએ અથવા જ્યાં માટીકામનો કોઈ મતલબ ન હોય એવી જગ્યાઓ પર કામ થયા, રૂ. 10-20 હજારનું કામ હોય અને તે કામને લાખો રૂપિયાનું ગણાવી દેવામાં આવ્યું હોય. આ ઉપરાંત કોઈ ખેડૂતે પોતાની રીતે, પોતાની જરૂરિયાત માટે ચોમાસામાં પાણીના સંગ્રહ માટે નાનો અમથો માટીનો પાળો બનાવ્યો હોય, તેને પણ સિંચાઈવિભાગે પોતાનું ‘કામ’ ગણાવી દીધું હોય- એવા દાખલા છે.
વિપક્ષનો આક્ષેપ છે કે, જિલ્લામાં નક્કી થયેલા 110 કામો પૈકી 10 ટકા જ કામો થયા છે, 90 ટકા ભ્રષ્ટાચાર થયો છે અને આ વાત 100 ટકા સાચી છે તેમ વિપક્ષ ડંકે કી ચોટ પર કહે છે. તેનો અર્થ એમ થઈ શકે કે, જિ.પં.ના સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારની ખેતી થઈ રહી છે અને આ વિભાગમાં લીલાલહેર છે ! જિલ્લા વિકાસ અધિકારીએ આ વિભાગને સ્કેનર હેઠળ મૂકી તપાસવો પડે એવી સ્થિતિઓ હોવાનું આ આક્ષેપો પરથી સમજાઈ રહ્યું છે. કામોની મુલાકાત લેનાર આ કમિટી વતી શાસકપક્ષના લગધીરસિંહ જાડેજા અને વિપક્ષ નેતા જે.પી.મારવિયાએ જાહેર કરેલી વિગતો ચિંતાઓ ઉપજાવનારી અને સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડનારી છે.
