Mysamachar.in-જામનગર
‘ઉપચાર શોધાયો જ નથી એવા કોરોનાની સારવાર અમારા અભ્યાસ અને અનુભવોના આધારે કરતા હતાં. જો યોગ્ય રીતે પીપીઇ કીટ પહેરી હોઇ તો કોરોનાનું સંક્રમણ થતું નથી. કોરોનાના દર્દીઓ સાથે દશ માસ વિતાવ્યા બાદ જાત અનુભવે હું આ કહી શકુ છુ.’ આ વાત કરે છે જામનગરની જિલ્લા કોવિડ હોસ્પિટલ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એમ ત્રણેય જિલ્લાના રિજીઓનલ નોડલ ઑફિસર ડો.એસ.એસ. ચેટર્જી. ડો. એસ.એસ.ચેટર્જી કહે છે કે શરૂઆતમાં એવાં સંશોધન હતા કે કોરોનાના દર્દીઓને શરદી- ઉધરસના લક્ષણો હશે પણ અમારા પાસે આવતા દર્દીઓમાં તાવ, કળતર અને નબળાઈ વધારે રહેતી હતી. હા, બાળકોમાં તો કોઈ લક્ષણો જ દેખાતા ન હતા. બાળકોમાં કોરોના થવાનું પ્રમાણ પણ બહુ ઓછું હતું.
આવી પરિસ્થિતિમાં અમારા માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે દર્દીને કેટલા માત્રામાં અને કેટલો સમય દવા આપવી. દુનિયાભરમાં થતાં કોરાનાના સારવારના પ્રયોગો અને તેની સફળતા નિષ્ફળતાનો અમે અભ્યાસ કરતા હતા. સરકારની વખતોવખતની કોરોનાની માર્ગદર્શિકાનું પણ અમે પાલન કરતાં હતા. એ મુજબની દવાઓ ઈન્જેકશન, પ્લાઝમાં થેરાપી, ઓક્સિઝન થેરાપી અમે દર્દીઓને આપતા હતા. ડો.ચેટર્જી કોવિડના રિજીઓનલ નોડલ ઓફિસર હોવા ઉપરાંત એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને પોરબંદર મેડિકલ કોલેજના ડીન છે. મેડિસિન વિભાગના પ્રોફેસર પણ છે.
આમ અનેક જવાબદારી સંભાળતા આ તબીબ વિશે કોવિડના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો.ધર્મેશ વસાવડા કહે છે કે કોરોનાની એન્ટ્રી થતાં દેશભરમાં અને ગુજરાતમાં શરૂઆતમાં લોકડાઉન હતું ત્યારે ખાનગી હોસ્પિટલો બન્ધ હતી. ડોકટરો પણ કોરોનાથી ડરતા હતા. આવા મુશ્કેલ સમયે આપણી સરકારી હોસ્પિટલમાં કોરોનાના કેસ આવવા લાગ્યા. ત્યારે ડો.એસ.એસ. ચેટર્જીએ આગળ આવી દર્દીઓને સારવાર આપવાનું શરૂ કર્યું. અમારી કોવિડ હોસ્પિટલના સ્થાપક જ સમજો એમને સૈનિક અને સેનાપતિ બનીને દિવસ-રાત કોરોના દર્દીઓ માટેનું કામ શરૂ કર્યું. એમની સાથે એમના જેવા જ સેવાના ભેખધારી ડો. ભુપેન્દ્ર ગોસ્વામી સહિતના અનેક ડોક્ટર્સ, રેસિડન્ટ ડોક્ટર્સ પણ જોડાતા ગયા હતા. અમારે ત્યાં કોવિડની સારવાર માટેની ડૉકટર્સની શ્રેષ્ઠ ટિમ બનતી ગઈ હતી. કલેકટર રવિશંકર દ્વારા કોરોના રત્નનો એવોર્ડ અર્પણ કરી ડો.ચેટર્જીની સેવાનું સન્માન કરાયું હતું.
એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઇ કહે છે કે સરકારની પોલીસી મુજબ કોરોના દર્દીઓને સારવારથી લઈને તેમને સાજા કરીને ઘરે મોકલવા, મૃત દર્દીઓને સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરાવવા માટે મોકલવા, દેશ અને દુનિયામાં થતા કોરોના અંગેના સંશોધનો અને પ્રયોગો ઉપર બાજ નજર રાખવા સહિતના કામો તો ડો. ચેટર્જી કરતા જ હતા. સાથો સાથ કોવિડ હોસ્પિટલ હજુ શરૂ થઈ ના હતી, ટાચા સાધનો અને સગવડો હતા એવા શરૂઆતના વિકટ દિવસોમાં ડો. ચેટર્જી ખરા અર્થમાં કોરોના દર્દીઓની સારવારમાં સમર્પણ ભાવથી લાગી ગયા હતા. બીજા ડોકટરોને પણ તેઓ તેમની સાથે જોડી એકસૂત્રતામાં બાંધી લીધા હતા.
ડો.ચેટર્જીની જેમ જ ડો.ભુપેન્દ્ર ગોસ્વામીએ પણ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ રાત દર્દીઓની સારવાર માટે ભારે જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી કહે છે કે કોરોનાની મહામારીને કાબુમાં લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જિલ્લાકક્ષાએ કોવિડ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી. સારવારમાં ક્યારેય ખોટ ન પડે એટલા જરૂરી સાધનો સુવિધાઓ ઉભી કરાવી આપી હતી. જેથી અમારા ડોકટર્સની ટીમને સારવારમાં સરળતા રહે છે અને દર્દીઓ પણ સંપૂર્ણ સારવારનો સંતોષ લઇને સાજા થઈને ધેર જાય છે. જી.જી.કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર અને મેડિસિન વિભાગના એસો.પ્રો.ડો.ભુપેન્દ્ર ગોસ્વામી કહે છે કે, આજ સુધીની કોઈ પણ બીમારીમાં જરૂર નથી પડતી એટલી બધી માત્રામાં ઓક્સિઝનની જરૂર આ કોરાનાની બીમારીમાં દર્દીઓને પડી છે.
એનું કારણ આપતા ડો.ગોસ્વામી કહે છે કે કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે. કોરોના મટી ગયા બાદ, Rtpcrરિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ કાયમ માટે ફેફસાને ડેમેજ કરી નાખે છે! જોકે આવું 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન કે ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લન્ગ ફાયબ્રાસીસ કહે છે. એવા 30 ટકાથી પણ વધુ દર્દીઓ છે કે જેમને કોરોના જતો રહ્યો હોય છત્તા ફેફસા-હ્ર્દય સહિતની બીમારીઓની સારવાર માટે 77 દિવસથી પણ વધુ વેન્ટિલેટર-ઓક્સિઝન ઉપર રાખવામાં આવ્યા છે. કોરોનાની અસર કેટલી હદે ખતરનાક હોઈ છે આ અંગે ડો.ભુપેન્દ્ર ગોસ્વામી કહે છે કે, કેટલાક દર્દીઓમાં મગજ, હૃદય, આંખમાં લોહીની ગાંઠ- ફન્ગલ ઇન્ફેકશન, ગેંગરીન, પગમાં સોજા પણ જોવા મળ્યા હતા. જેથી જેટલી વહેલી તકે કોરોનાની સારવાર થાય એ ખૂબ જ જરૂરી છે.
કોરોના દર્દીઓની સારવાર સંબંધી વાત કરતા ડો.ગોસ્વામી કહે છે કે, અમે છેલ્લા દસ માસથી અલગ અલગ લક્ષણો ધરાવતા, વિવિધ કોમ્પ્લિકેશન ધરાવતા દર્દીઓને અલગ અલગ સારવાર આપી હતી.જેમ કે એન્ટીવાયરલ, એન્ટી બાયોટિક, પ્લાઝ્મા થેરાપી, રેન્ડસીવર મેડિસિન, સ્ટીરોઇડ, અતિ મોંઘા એવા ટોસાલીઝમના ઈન્જેકશન, ઓક્સિઝન થેરાપી (વેન્ટિલેટર, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા) વગેરે અલગ અલગ જરૂરિયાત મુજબની સારવાર સાવચેતીપૂર્વક અપાઇ હતી.
મોટાભાગે તો દર્દીઓ બાર કે પંદર દિવસમાં સાજા થઈ જતા હોય છે. પરંતુ કોરોના જતો રહ્યો હોવા છત્તા દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય છે. અને તેની રિકવરીમાં વાર લાગે છે. છાતી-ફેફસાના ડોક્ટરો આવા દર્દીઓની સારવાર ઓક્સિઝન થેરાપીથી કરતા હોય છે. દર્દીને રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તે પુનઃ ઝડપથી સાજા થઇ જતા હોય છે. કોરોનોમાંથી સાજા થયા પછી હાર્ટની તકલીફ થયેલા દર્દીઓને પણ અમે સાજા કરીને ધેર પરત મોકલ્યાના દાખલા અમારી પાસે છે. તેમ ડો.ગોસ્વામી ગૌરવપૂવર્ક જણાવે છે.
રાજ્ય સરકારે જો કે કોરોનાની ગંભીરતા પારખી તુરત જ દર્દીઓની સારવારના સાધનો – દવા ઉપલબ્ધ કરાવી દીધા.અમારી કોવિડ હોસ્પિટલને ક્યારેય ખોટ ન પડે એટલી ક્ષમતા ધરાવતો ઓક્સિઝન ટેન્ક, વેન્ટિલેટરો, હાઈ ફ્લો નોસલ મશીન સહિતની સુવિધાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કોવિડના સચિવ પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ, પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય, કલેકટર રવિશંકરના સહકારથી ટૂંકાગાળામાં પ્રાપ્ત થઈ છે. આ માટે અમારી હોસ્પિટલ રાજ્ય સરકારની આભારી છે. ડૉક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ માટે પીપીઇ કિટ ઉપલબ્ધ કરાવતી રહી છે જેથી કોરાના યોદ્ધાને વાયરસ સામે રક્ષણ મળે. આમ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન પણ સતત મળી રહે તે જોયુ જેથી દર્દીઓની સારવાર વધુ ઝડપી બની અને ડેથ રેશિયો ખુબ જ નીચો રહ્યો છે. આમ ડોકટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોના સમયમાં વધુ એક વખત દેવદૂત પુરવાર થયા છે, એ સાબિત થયું છે.






