Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં અને શહેર આસપાસના ધોરીમાર્ગો પર કેટલાંક વાહનો અતિ જોખમી રીતે દોડતાં હોય છે. આ પ્રકારના કેટલાંક વાહનો દ્વારા સર્જાતા અકસ્માતોમાં કોઈ વ્યક્તિનો જીવ પણ લેવાતો હોય છે. આવા બનાવો અવારનવાર થતાં રહેતાં હોય છે. આ બનાવો અટકાવવા તથા ચેકિંગ માટે RTO તથા પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહીઓ પણ થતી રહેતી હોય છે.
કોઈ વાહનચાલક જોખમી રીતે વાહન ચલાવતો હોય છે અથવા અકસ્માત સર્જાતો હોય છે ત્યારે પોલીસ એ તપાસ કરતી હોય છે કે, આ વાહનચાલકે નશો કર્યો છે કે કેમ ? આ પ્રકારની પોલીસતપાસ બાદ ગુનાની ગંભીરતા અને કાનૂની જોગવાઈ ધ્યાન પર લઈ પોલીસ આ અંગે જે તે વાહનચાલક સંબંધે RTO ને રિપોર્ટ મોકલાવે છે અને આ રિપોર્ટના આધારે RTO કચેરી આવા વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ અમુક સમય અંતરાલ માટે સસ્પેન્ડ કરે છે.
જામનગર RTO કે.કે.ઉપાધ્યાય જણાવે છે કે આ વર્ષે પ્રથમ 7 મહિના દરમિયાન આ પ્રકારના કિસ્સાઓમાં કુલ 86 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીથી જૂલાઈ દરમિયાન સૌથી વધુ 24 લાયસન્સ ગત્ માર્ચ માસમાં સસ્પેન્ડ થયેલાં. અને, ત્યારબાદ વધુ લાયસન્સ સસ્પેન્ડ થવામાં બીજા ક્રમે જાન્યુઆરી મહિનો રહ્યો હતો. જેમાં 23 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયા હતાં. મે અને જૂન માસ દરમિયાન, સૌથી ઓછાં 3-3 લાયસન્સ સસ્પેન્ડ થયા હતાં.(symbolic image)