Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ આખરે એવું નક્કી કર્યું કે, શહેરના ઘન કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે કામ છે તેનું ટેન્ડર નવેસરથી તૈયાર કરવું. ટૂંકમાં, ઘેરા વિવાદ બાદ હાલ આ મામલો લટકી ગયો છે. અને હવે મહાનગરપાલિકાએ આ કામના ટેન્ડર માટેની બધી જ કસરત ફરીથી કરવી પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સૌ પ્રથમ અને ઘણાં સમય પહેલાં Mysamachar.in દ્વારા અહીં લખવામાં આવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કામ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવશે ત્યારે, તડાફડી થશે. એમ જ થયું. આ દરખાસ્ત કમિટીએ પેન્ડિંગ રાખી દેવી પડી હતી. પછી પણ યોગ્ય ‘સંકલન’ ન થતાં, આખરે ગઈકાલે ગુરૂવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દે સહમતી ન થતાં, આખરે એવો નિર્ણય આવ્યો કે, હવે આ કામ માટે રિ-ટેન્ડરીંગ કરવામાં આવશે.

સૂત્રના જણાવ્યા અનુસાર, હકીકત એવી છે કે- આ કામ કેટલાં વર્ષ માટે આપવું..કેટલાં કરોડમાં આપવું…ટેન્ડરમાં શું શરતો ‘ગોઠવવી’ …વગેરે વગેરે બાબતોમાં સતાપક્ષ પર એક તરફ વિપક્ષનું દબાણ છે, વિજિલન્સ તપાસની પણ માંગ થઇ છે, બીજી તરફ શાસકપક્ષની અંદર પણ આ કામ બાબતે ચોક્કસ પ્રકારની ‘બબાલ’ ચાલી રહી છે. જેને કારણે આ મામલો લાંબા સમયથી ‘સેટ’ કરી શકાયો નથી. અને હજુ પણ કોર્પોરેશનમાં આ મામલે વાતાવરણ કેટલો સમય ‘અપસેટ’ રહેશે, તે પ્રશ્નનો ઉત્તર મળવો મુશ્કેલ છે એમ સૂત્ર જણાવે છે.
દરમ્યાન, સ્ટેન્ડિંગ ચેરમેન એમ જણાવી રહ્યા છે કે, આ કામ કોન્ટ્રાક્ટરોને આપતાં પહેલાં, ટેન્ડરની શરતો નક્કી કરતાં અગાઉ, કોર્પોરેશન એક સર્વે કરશે અને આ સર્વે ના જે તારણો સામે આવશે તેને ધ્યાન પર લઈ ટેન્ડરની શરતો નવેસરથી તૈયાર કરવામાં આવશે. જો કે, કેટલાં વર્ષ માટે, કઈ શરતો સાથે અને કેટલાં કરોડમાં કામ આપવું- વગેરે બાબતો અંગે હાલ સ્પષ્ટતાઓ થઈ હોવાનું કયાંય દેખાઈ રહ્યું નથી.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલ ઘણાં સમયથી કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ બંધ છે. અને આ પ્લાન્ટ હવે કયારેય ચાલુ થશે કે કેમ, એ કોઈને ખબર નથી. આ કંપની મહાનગરપાલિકાની નોટિસો ‘કચરાપેટી’માં ફેંકી દઈ રહી છે. આ સ્થિતિઓ વચ્ચે આગામી બે પાંચ દર વરસ દરમિયાન આખા શહેરના કચરાને ક્યાં ઠાલવવો, કયા ભાવે ઠાલવવો, વગેરે બાબતો હાલ ગૂંચવાઈ ગયેલી છે. આ સ્થિતિમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના આ ટેન્ડરની શરતો કેવી રીતે નક્કી કરવી, કોન્ટ્રાક્ટનો સમયગાળો અને ભાવતાલ કેવી રીતે નક્કી કરવા- વગેરે બાબતો કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. કેમ કે, આ કામમાં માત્ર વિપક્ષ તરફથી જ પડકાર નથી, શાસકપક્ષમાં અંદર પણ વાતાવરણ ખૂબ ડહોળાયેલું હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે ત્યારે હાલ સ્થિતિઓ એવી જોવા મળી રહી છે કે, મામલો લટકી ગયો છે.
જો કે શાસકપક્ષ એવો દાવો જરૂર કરી રહ્યો છે કે, આખો મામલો શહેર અને નગરજનોના તથા કોર્પોરેશનના હિતમાં સૂલટાવવામાં આવશે. અહીં પ્રશ્ન એ પણ પૂછી શકાય કે, જે દરખાસ્ત તૈયાર થઈ હતી તેમાં આ હિતોની જાળવણીની વાત નથી ?! ખરેખર તો આવા અબજો રૂપિયાના કામોમાં વિવાદો ઉભા ન થાય તે માટે કોર્પોરેશને ટેન્ડરની શરતો અંગેની સાદી, સરલ સમજણ લોકો સુધી પહોંચે તે માટે એક ‘અખબારીયાદી’ પણ પ્રચારિત કરવી જોઈએ. જેથી કયાંય, કોઈ શંકાઓ ન રહે, વિવાદો ન થાય અને વહીવટની પારદર્શિતા પણ નિભાવી શકાય. આમ નહીં થાય ત્યાં સુધી, વિવાદો ચાલતાં રહેશે. વર્ષોથી કોર્પોરેશનમાં કચરાનું કમઠાણ કાયમ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યું છે. આ સ્થિતિઓ નિવારી શકાય. આગામી મહિનાઓમાં સ્થાનિક ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે, વિવાદો થશે તો સ્વાભાવિક રીતે જ તેના પડઘા ચૂંટણીઓમાં પણ પડી શકે, એ પણ સૌએ યાદ રાખવું પડે- એમ પણ જાણકારો માની રહ્યા છે. ખાસ કરીને શાસકપક્ષના શુભેચ્છકો આમ માની રહ્યા છે.(file image)
