Mysamachar.in:ગુજરાત
આ ચોમાસું ગુજરાત માટે નોંધપાત્ર વિનાશ સર્જનારૂ પૂરવાર થયું છે. અત્યાર સુધીમાં ઘણાં બધાં લોકો મોતનાં મુખમાં ધકેલાઈ ગયા છે, હજુ ચોમાસું ચાલુ જ છે. અને અન્ય નુકસાનીઓ તથા અસરો પણ જાણવા મળી રહી છે. આ ચોમાસામાં બિહાર (518 મોત) અને હિમાચલ પ્રદેશ (200 મોત) પછી, મોતનાં કિસ્સાઓમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં કુલ 139 નાગરિકોનાં મોત થયા છે. જે પૈકી 44 લોકોનાં મોત પૂરનાં પાણીમાં તણાઈ જવાથી અને 39 મોત વીજળીને ચમકારે થયાં છે. આ ઉપરાંત પાણીમાં તણાઈ ગયા હોય અને મળી આવ્યા ન હોય, દીવાલ પડવાથી દટાયા હોય વગેરે ઘટનાઓમાં અન્ય 56 લોકોનાં મોત થયા છે.
ગુજરાતમાં કુલ 10 જિલ્લાઓ એવાં છે જ્યાં ચોમાસાની ગાઢ અસરો જોવા મળી છે. બે વ્યક્તિ હજૂ ગૂમ છે, જેનાં મૃતદેહ પણ મળી આવ્યા નથી. વરસાદી ઘટનાઓમાં 218 નાગરિકોને ઈજાઓ પહોંચી છે. રાજ્યમાં 355 મકાનો એવાં છે જે વરસાદમાં સંપૂર્ણ નાશ પામ્યા છે. 19,756 મકાનો એવાં છે જે અંશતઃ નુકસાન પામ્યા છે. 4,389 પશુઓનાં મોત નીપજ્યા છે. 1,17,000 વીજપોલને નુકસાન થયું છે. 14,333 હેક્ટર જમીનમાં ઉભેલાં પાકને વરસાદને કારણે માઠી અસરો પહોંચી છે.
ગુજરાતમાં વરસાદને કારણે જે મોત થયા છે તે પૈકી મોટાભાગના મોત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. હવામાન વિભાગ કહે છે : બિપરજોય વાવાઝોડાંની અસરો અને ભારેથી અતિભારે વરસાદનાં જુદાંજુદાં વિસ્તારોમાં બેત્રણ તબકકાઓને લીધે ગુજરાતમાં ખાસ્સી અસરો પહોંચી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લામાં ધીંગો વરસાદ પડયો છે. આ વરસાદે નોંધપાત્ર પ્રમાણમાં તારાજી સર્જી છે. જામનગર જિલ્લામાં વરસાદને કારણે 6 મોત નોંધાયા છે. હવામાન વિભાગ કહે છે : આજે મંગળવારથી ભારે વરસાદની સ્થિતિમાંથી ગુજરાતને રાહત મળશે પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.