My samachar.in:-ભાવનગર
રાજ્યના નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી વારંવાર તેના વિવાદિત નિવેદનો આપવા માટે જણીતા બની રહ્યા છે, ત્યારે થોડા દિવસો પૂર્વે શાળાઓમાં બાળકો ખુલ્લામાં ભણતા હોવાના અહેવાલ સામે વાઘાણીએ કહ્યું હતું કે અમે નાના હતા ત્યારે અમે પણ આમ જ ભણતા હતા, આ નિવેદનની પણ હાઈકોર્ટે ટીકા કરી હતી, બાદમાં તાજેતરમાં જ થોડા દિવસો પૂર્વે રાજકોટના એક શૈક્ષણિક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરમંચ પરથી જ કહી દીધું કે જેને અહી શિક્ષણ વ્યવસ્થા સારી ના લાગે તે પોતાના બાળકોના સર્ટી લઈને જે રાજ્ય કે દેશમાં વધુ સારી સુવિધા હોય ત્યાં ચાલ્યા જાય.આ નિવેદનની પણ ભારોભાર ટીકા બાદ વાઘાણીએ પોતાનોં બચાવ પણ કરવા પ્રયાસ કર્યો હતો, આમ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનો શિક્ષણ વિભાગ યેનકેન પ્રકારે વિવાદોમાં ઢસડાઈ રહ્યા છે ત્યારે આજે જીતુ વાઘાણીના ગઢમાં જ દિલ્હીના શિક્ષણમંત્રી સિસોદિયા શાળાઓની મુલાકાત લેવા પહોચ્યા હતા
આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓ માહિતી મેળવી હતી, તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી.હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે..
માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે.બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ. અહીં આવીને મેં જોયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંધકી જોવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છે તો રાજ્યમાં બીજે કેવી હશે.થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાએ એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રીના નિવેદનની નિંદા કરી હતી. આજે આવેલ મનીષ સિસોદિયા સાથે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા