Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી અહીં પર્યાવરણને નુકસાન તથા હાનિ પહોંચાડતા અનેક કૃત્ય ઉદ્યોગો દ્વારા આચરવામાં આવતા હોય છે. આ પ્રકારના કૃત્ય બદલ તંત્ર ઉદ્યોગો પાસેથી ફંડ સ્વરૂપે નાણાં વસૂલે છે. કરોડો રૂપિયા એકત્ર કરે છે પરંતુ પછી, આ નાણાં પર્યાવરણ પાછળ વપરાતા નથી. આજે પાંચમી જૂને પર્યાવરણ દિવસ હોય, આ વિગતો જાણવી આવશ્યક લેખાશે. કારણ કે, આજે પર્યાવરણ સંબંધિત ‘મોટી અને મીઠડી’ વાતો ઘણી થશે.
આજે પર્યાવરણ દિવસ હોવાથી રાજ્યભરમાં રોપા વિતરણ અને રોપા આરોપણ સહિતના અસંખ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે, એ જાણી રાખો કે ઉદ્યોગો દ્વારા પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તે સરભર કરવા રાજ્ય સરકારના કાયદા મુજબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક અને રાજ્યકક્ષાની કચેરીઓ, આ પ્રકારના ઉદ્યોગો પાસેથી નાણાં વસૂલે છે.
છેલ્લા 2 વર્ષ દરમ્યાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ રીતે રાજ્યમાં કુલ રૂ. 72.53 કરોડની વસુલાત આ પ્રકારના ઉદ્યોગો પાસેથી મેળવી છે. જે પૈકી માત્ર રૂ. 08.06 કરોડની રકમ પર્યાવરણ માટે ખર્ચ કરવામાં આવી છે. બાકીના રૂ. 64 કરોડ જેવી રકમ એમને એમ વણવપરાયેલી પડી છે.

આ રકમ પૈકી જે નાણું પર્યાવરણ માટે ખર્ચ થયું છે તેમ જે કહેવાય છે એ પણ એક પ્રકારનો માત્ર પ્રચાર છે. કારણ કે, આવો ખર્ચ લેબોરેટરી- સાધનો અને માનદ વેતન જેવા કામોમાં વપરાઈ જાય છે. પર્યાવરણ સંરક્ષણ કે વૃક્ષ ઉછેર કે પર્યાવરણને જે વિસ્તારમાં ઉદ્યોગોને કારણે નુકસાન થયું હોય તે વિસ્તારોમાં પર્યાવરણને મજબૂત બનાવવા આ નાણાંનો ખર્ચ થતો નથી.
પર્યાવરણ નિષ્ણાંતો કહે છે કે, લેબોરેટરી-સાધનો-માનદ વેતન કે અભ્યાસ પાછળ આ નાણાંનો ખર્ચ ન કરવો જોઈએ, આવા કામો સરકારની ગ્રાન્ટમાંથી કરી શકાય. ઉદ્યોગો પાસેથી વસૂલેલા નાણાં પર્યાવરણ સંવર્ધન માટે એવા વિસ્તારોમાં ખર્ચ કરવા જોઈએ જ્યાં ઉદ્યોગોને કારણે જેતે વિસ્તારમાં નુકસાન થયું હોય. આ ઉપરાંત પર્યાવરણ જાળવણી માટે કંપનીઓના CSR ફંડનો ઉપયોગ પણ કરવો જોઈએ. GPCB હસ્તકની આ રકમનો ખર્ચ કેવી રીતે કરવામાં આવશે તેનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. આ બધી જ બાબતો અંગે રાજ્યના વહીવટી સુધારણા પંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.