Mysamachar.in-ગુજરાત:
બેન્કોમાં એક તરફ કરોડો અને અબજો રૂપિયાની લોન્સ માંડવાળ થઈ રહી છે, મગરમચ્છો બેન્કોને નવડાવીને કે બૂચ મારીને ભાગી પણ જાય છે, દેશ પણ છોડી જાય છે. અને બીજી તરફ કોઈ નાનો લોનધારક મંદી કે નાણાંભીડને કારણે લોનના એકાદ બે હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો બેન્કનો રિકવરી એજન્ટ આ નાના લોનધારક પર ઘોડોઘોડો થઈ જતો હોય છે અને કેટલાંક કેસમાં લોનધારકને મારઝૂડ પણ થતી હોય છે. હવે રિકવરી એજન્ટની આ દાદાગીરી પર અંકુશ આવશે. રિઝર્વ બેન્ક દ્વારા એક વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
બેન્ક સહિતની નાણાંસંસ્થાઓ અને લોન રિકવરી એજન્ટ દ્વારા લોનધારક પર નિયમો વિરુદ્ધ જે જોરજુલમ આચરવામાં આવે છે તેના પર કડક નિયંત્રણો લાદતો એક પ્રસ્તાવ રિઝર્વ બેન્કે તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ કહે છે: રિકવરી એજન્ટ સાંજે 7 વાગ્યાથી સવારના 8 વાગ્યા દરમિયાન લોનધારકને લોન સંબંધે ફોન નહીં કરી શકે. લોનધારકની સામાજિક ઈજજતને હાનિ પહોંચે તેવું કોઈપણ કૃત્ય રિકવરી એજન્ટ કે બેન્ક સહિતની નાણાં સંસ્થાઓ આચરી શકશે નહીં.
પ્રસ્તાવ કહે છે: લોનધારકને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનો અયોગ્ય મેસેજ રિકવરી એજન્ટ મોકલી શકશે નહીં. તેને આ મેસેજથી ધમકાવી શકાશે નહીં. આ ઉપરાંત રિઝર્વ બેન્કે એમ પણ કહ્યું છે કે, નાણાં સંસ્થાઓએ KYC સહિતની કમ્પ્લાયન્સ બાબતોનું આઉટસોર્સિંગ ન કરવું જોઈએ. બેન્ક અથવા રિકવરી એજન્ટ લોનધારકની મૌખિક અથવા શારીરિક સતામણી કરી શકશે નહીં. લોનધારક કે તેમના જામીનની ગુપ્તતાનો ભંગ થાય તેવું કોઈપણ કૃત્ય આચરી શકાશે નહીં. લોનધારકને ધમકીઓભર્યો કે અજાણ્યા નામથી કોલ કરી શકાશે નહીં. બેન્ક સહિતની નાણાંસંસ્થાઓ લોનધારકની માનસિક, શારીરિક અને સામાજિક સતામણીઓ કરી રહી છે એવી અસંખ્ય ફરિયાદો રિઝર્વ બેન્કને મળી હતી, જેનો અભ્યાસ કરીને રિઝર્વ બેન્ક દ્વારા આ વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.