Mysamachar.in-ગાંધીનગર:
આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજ્યસભાની ચુંટણી પૂર્વે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા, આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને પૂર્વ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યુ કે, 2013થી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, માત્ર ભાજપ પર આરોપ લગાવવા હોય તો ગુજરાત કોંગ્રેસે દુકાન બંધ કરી દેવી જોઈએ. તેમણે કહ્યુ કે, પાંચ-પાંચ વાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ હવે આવડત અને નેતૃત્વ વિહોણી બની હોવાનોં પ્રહાર પણ વાઘાણીએ કર્યો હતો.