Mysamachar.in: જામનગર
જામનગર કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ભાજપાશાસિત મહાનગરપાલિકાને ઘેરવામાં આવી રહી છે, સ્ટેન્ડિંગ કમિટીનું નામ ‘સેટીંગ’ કમિટી રાખ્યા બાદ હવે કોંગ્રેસ પક્ષે શહેરના પ્રથમ નાગરિક મેયરની ચૂપકીદીને નિશાન પર લીધી છે. વિપક્ષે આ બધી બાબતો મેયરને લેખિતમાં પૂછી છે. અને, આ પત્ર આજે મેયરને હાથોહાથ સોંપવામાં આવ્યો છે.
જામનગર કોંગ્રેસ દ્વારા મેયરને આપવામાં આવેલાં પત્રમાં એવો સવાલ કરવામાં આવ્યો છે કે, સૌરાષ્ટ્રનું પેરીસ જામનગર ખાડાનગર અને ગંદકીનગર તરીકે જાણીતું થયું છે. અને, ભાજપાશાસિત મહાનગરપાલિકાને કારણે આમ થયું છે, ત્યારે પ્રથમ નાગરિક તરીકે તમે મૌન કેમ છો ?
આ ઉપરાંત પત્રમાં કહેવાયું છે: નગરજનો શહેરના ખાડાઓમાં પડે છે, અકસ્માતનો ભોગ બને છે. આ સાથે જ, તળાવ ખાતે બ્યુટીફિકેશન નામનો ભ્રષ્ટાચાર ચાલે છે, ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કામ ન થતું હોવા અંગે કમિશનર અને લગત અધિકારીને વારંવાર રજૂઆત અને તમારી આંખ નીચે આ ભ્રષ્ટાચાર- તમે આમાં કાંઈ બોલશો ?
આ ઉપરાંત કોંગ્રેસ કહે છે: શાખાઓ વચ્ચે ભ્રષ્ટાચારની હરિફાઈ ચાલી રહી છે, આ મુદ્દે આપ મૌન કેમ છો ? જનતાને ભ્રષ્ટાચારી શાખાઓથી બચાવવા આપ શું કરશો ? પત્રના અંતમાં કોંગ્રેસે મેયરને જાણ કરી છે કે, જો આ બધી સમસ્યાઓનો નિકાલ નહીં કરો તો નગરજનોને સાથે રાખી આપની કચેરીએ આંદોલન કરવાની ફરજ પડશે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના નામે આ પત્ર લખાયો છે.
-Mysamachar.in એ આ પત્ર અંગે મેયરની પ્રતિક્રિયા જાણવા એમનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. મેયર વિનોદ ખીમસૂર્યાએ જણાવ્યું હતું કે,
આજે કોંગ્રેસની રજૂઆત મળી છે. તેમણે જણાવેલાં પ્રશ્નો અંગે અગાઉ પણ તે રજુઆત કરી ચુક્યા છે આમાં કાઈ ખાસ એવું નથી પણ તપાસ કરી, જરૂરી કરવા જેવી કાર્યવાહી લાગશે તો કરીશું