Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર લોકસભાની ચૂંટણીમાં ધીમે ધીમે રાજકીય માહોલ જામતો જાય છે અને નવા સમીકરણો સર્જાતા જતા હોય તેમ કોંગ્રેસ તરફેણમાં પાસું પલ્ટાતુ જાય છે. જેની શરૂઆત થઇ ચૂકી હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આહિર સમાજના બે અને એક સતવારા સમાજના મળીને ત્રણ દિગ્ગજો ભાજપ છોડીને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં ખુલ્લેઆમ આવી જતા એકાએક કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવવામાં સફળતા મળી રહી છે,

એક બાજુ જામનગર લોકસભાની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ખેડૂત પુત્ર એવા મુળુભાઇ કંડોરીયા ના નામની જાહેરાત થતાં જ કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે અને મુળુભાઇ કંડોરીયાના પ્રવાસ દરમિયાન તેમને ચિંતા કરવાની જરૂર નથી, તેવું જણાવીને કાર્યકરો જીત માટે તનતોડ મહેનત કરવાનો વિશ્વાસ મુળુભાઇ કંડોરીયાને આપી રહ્યા છે,

ત્યારે આ વિશ્વાસમાં વધારો કરતી ઘટના સામે આવી હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય લખુભાઈ ગોજીયા, ભાટિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અરજણભાઈ કણજારીયા તેમજ કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મશરીભાઈ ગોરીયા ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાઈને સપાટો બોલાવ્યો છે,ભાજપની નીતિ તેમજ જિલ્લા ભાજપની કામગીરી સામે નારાજ થઈને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાના સમર્થનમાં ખુલ્લેઆમ ટેકો આપીને કોંગ્રેસમાં જોડાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા રાજકીય સમીકરણો સામે આવ્યા છે તેનાથી ચોક્કસ કોંગ્રેસને ફાયદો થવાની સાથે ભાજપના ઘરમાં ભંગાણ સર્જાતા રાજકીય માહોલ ગરમાયો છે અને આગેવાનોના જોડાવાથી કોંગ્રેસમાં નવું જોમ આવ્યું છે જેનો ભરપૂર લાભ મળવાની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ તરફે વાતાવરણ બનતું જાય છે,

આમ જામનગર લોકસભાની સીટ પરથી સરળ અને શાંત સ્વભાવના ખેડૂત આગેવાન મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં એકાએક વધારો થતા ભારે રસાકસી ભર્યો ચૂંટણી જંગ બનતો જાય છે અને મતદારો પણ હવે સમજી ગયા છે અને આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો હોય કે બેરોજગારીની જટીલ સમસ્યા જે ધ્યાને રાખીને મતદારોએ પણ કોને મત આપવો તેવું મન બનાવી લીધું હોય તેમ સત્તા પરિવર્તનના સ્પષ્ટ એંધાણ અત્યારથી જ દેખાઈ રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.