Mysamachar.in-જામનગર:
આવતીકાલે જામનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાવવાનું છે,ત્યારે જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને પરશુરામ ગ્રુપ જામનગર દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે,ગતરાત્રીના પરશુરામ ગ્રુપની મીટીંગ મળેલ હતી,જેમાં સર્વે હોદેદારો અને સભ્યો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને સમર્થન કરતો ઠરાવ કરવામાં આવ્યો છે,

બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવતી માંગણીઓ ના સ્વીકારી અને વર્તમાન સરકાર દ્વારા સમાજની સતત ઉપેક્ષા થવાથી બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા એક સુરે કોંગ્રેસને સમર્થન આપી અને તન મન ધનથી કોંગ્રેસને જીતાડવા માટેનું આહવાન કરવામાં આવેલ છે,

બ્રહ્મ સમાજ દ્વારા ભાજપા સરકારને પૂજારીઓને રૂપિયા ૧૦,૦૦૦ ન્યુનતમ વેતનની માંગ સ્વીકારેલ નથી,તેમજ પરશુરામ ધામ બનાવી પ્રવાસનધામ બનાવી સમાજલક્ષી કાર્ય પણ કરેલ નથી,ઉપરાંત બ્રહ્મ સમાજના સિંહ સમાન હરેન પંડ્યાના હત્યારા આજ દિવસ સુધી પકડાયેલા નથી અને રાજકીય રાગદ્વેષ રાખી આઈપીએસ સંજીવ ભટ્ટ ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા,તો ભાજપ પક્ષના પાયાના વડીલ એવા આદરણીય મુરલી મનોહર જોષીથી લઇ અનેક નેતાઓને રાજકીય રીતે ખત્મ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે,ત્યારે આ સમાજના ૫૦૦ થી યુવાનો મેદાને ઉતરશે અને ભાજપના ગઢ મા ગાબડા પાડશે,

ઉપરોક્ત મીટીંગ કલ્પેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને તથા જીગરભાઈ રાવલના નેતૃત્વમાં આયોજીત કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
