Mysamachar.in-જામનગરઃ
આજના યુગમાં ફાસ્ટફૂડનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેનો સ્વાદ બાળકોથી લઇને મોટેરા સુધી તમામને દાઢે વળગ્યો છે. જો કે ફાસ્ટફૂડની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં વધારે વજનની સમસ્યાથી લોકો પરેશાન છે. તો બીજી બાજુ વજન ઘટાડવાના બહાને ઘણા લોકો પૈસા પણ ખંખેરી રહ્યાં છે, પરંતુ ખરેખર વજન ઉતારવાનો ઉપાય તમે ઘરબેઠા કરી શકો છો, આ માટે તમારે માત્ર હેલ્થી ડાયટ પ્લાન તૈયાર કરી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ માટે જગપ્રસિદ્ધ જનરલ મોટર્સે વર્ષ 1985માં પોતાના કર્મચારીઓ માટે એક સપ્તાહનો ડાયેટ પ્લાન બનાવ્યો હતો જે સફળ રહેતા દુનિયાભરના એક્સપર્ટ તેને અનુસરવાની સલાહ આપી રહ્યાં છે.
જનરલ મોટર્સના ડાયેટ પ્લાન પ્રમાણે સપ્તાહના પ્રથમ દિવસે કેરી, કેળા, ચીકુ સિવાયના ફળ પર જ રહેવુ, ખાસ કરીને જયૂસનું સેવન ન કરવું. બીજા દિવસે સવારમાં ખાલી પેટે એક મોટુ બટાકુ શેકીને ખાવુ. સ્વાદ માટે તેના પર મરચુ છાંટી શકાય. દિવસ દરમિયાન બાફેલા શાકભાજી ખાવા. મેથી, લીંબુ, આદુ, લસણ, ડુંગળી, લીલા મરચા તેમજ મીઠો લીમડો ઉપર નાખી શકાય. ત્રીજા દિવસે કેળા, કેરી, ચીકુ, સક્કરીયા, બટેટા સિવાયના બધા જ ફળો અને શાકભાજી લઇ શકાય. આ માટે કોઇ પ્રમાણ નથી. આ દિવસે પણ તમારે આઠ ગ્લાસ પાણી પીવું ફરજિયાત છે. તો ચોથા દિવસે ચરબી અને સ્ટાર્ચ મળે તેવો ખોરાક લેવાનો છે. ચરબી કાઢેલું ગાયનું દૂધ ત્રણ-ચાર ગ્લાસ અને આઠ કેળા. જરૂર લાગે તો ડુંગળી, ટમેટા, કોબીનો સૂપ પી શકો છો. આ દિવસે સાત ગ્લાસ પાણી પીવાનું છે.
પાંચમાં દિવસે બાફેલી મસૂરની દાળ પીવાની અને માત્ર દિવસ દરમિયાન છ ટામેટા ખાવાના છે. આ દિવસે પાણી બાર ગ્લાસ પીવાનું છે. આ દિવસે લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ ઘટશે. જેથી પગના નીચેના સાંધાઓના દુઃખાવામાં પણ ઘણી રાહત રહેશે. પાંચમાં દિવસે મસુરની દાળમાંથી આયર્ન અને પ્રોટીન મળી રહે છે. અને ટામેટામાં રહેલા ફાયબરને કારણે પાચનતંત્ર બરાબર સાફ થાય છે. છઠ્ઠા દિવસે ખીચડીયા ચોખાનો ઉપયોગ કરીને કોઇ પણ હળવો ખોરાક લેવો તેમજ બાફેલા શાકભાજી પણ લઇ શકાય. છઠ્ઠા દિવસે આઠ ગ્લાસ પાણી લેવાનુ. તો સપ્તાહના છેલ્લા દિવસે આ દિવસે ફળોનો રસ બે ગ્લાસ, તેમજ ડુંગળી-ટમેટા-કોબીનો સુપ તમે પી શકો છો. સાતમા દિવસે તમારે પાણી માત્ર 2 ગ્લાસ જ પીવાનું છે. આ દિવસે તમને માનસિક સ્વસ્થતા અને વજન ઘટ્યું હોવાનો અનુભવ થશે.