Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણીની સાથે જામનગર-૭૭ ગ્રામ્યની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ઊંઝા, હળવદ, માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીની સાથોસાથ જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણી આવતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે કવાયત હાથ ધરી છે,

જામનગર ગ્રામ્યની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ એકાએક રાજીનામું ધરી દેતા નવા સમીકરણો સર્જાયા છે. ત્યારે લોકસભા બેઠક માટે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હોય તેની સાથે જામનગર ગ્રામ્ય બેઠકની પણ સેન્સ લેવામાં આવી હતી અને આ બેઠક પરથી રાઘવજી પટેલનું નામ હાલમાં આગળ છે, તેની સાથોસાથ ચંદ્રેશભાઇ પટેલ જૂથના વિનુભાઈ ભંડેરી વગેરે પણ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે,

ભાજપના સંભવિત ઉમેદવાર રાઘવજી પટેલ સામે મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસ દ્વારા પણ આ વખતે સમજી-વિચારીને કદાચ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારે તેવી શક્યતા વચ્ચે હાલ તો રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. તેવામાં છેલ્લા દિવસોમાં થયેલ રાજકીય ઉથલપાથલના કારણે આ વિસ્તારની પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેવામાં એક વર્ષ બાદ આવી પડેલ જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીમાં જનતા કેવો મિજાજ દેખાડે છે તે જોવાનું રહ્યું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.