Mysamachar.in-જામનગર:
PGVCL દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની વીજવ્યવસ્થાઓને અસરકારક બનાવવા માટે નવા સબ ડિવિઝન મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર, જામનગર નજીકના ફલ્લાને પણ નવું સબ ડિવિઝન મળશે, જો કે એ માટેની કેટલીક તૈયારીઓ હજુ બાકી છે.
PGVCLના MD કેતન જોષીએ આ જાહેરાત કરી છે. એમના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓના કુલ 9 નવા સબ ડિવિઝનને મંજૂરીઓ આપવામાં આવી છે. જામનગર વીજતંત્ર દ્વારા ફલ્લાને નવું સબ ડિવિઝન આપવા અંગે મોકલવામાં આવેલી દરખાસ્તને પણ આ નિર્ણય અંતર્ગત મંજૂરી આપી દેવામાં આવી હોવાની જાહેરાત થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રને 9 નવા સબ ડિવિઝન પ્રાપ્ત થતાં હાલના કેટલાંક સબ ડિવિઝન પરનો કાર્યભાર ઘટી શકશે અને સંબંધિત વિસ્તારોમાં વીજસેવા સુધરી શકશે, એવી આશા સેવવામાં આવી રહી છે. જામનગરના ફલ્લા સહિતના નવા 9 સબ ડિવિઝનમાં વધારાના સ્ટાફ તથા અધિકારીઓની નિયુક્તિ થતાં આ સંબંધિત વિસ્તારોમાં ફરિયાદોનું પ્રમાણ ઘટાડી શકાશે અને વીજપૂરવઠો ગૂલ થવાના કિસ્સાઓમાં પ્રમાણમાં વધુ ઝડપથી વીજપૂરવઠો પૂર્વવત કરી શકવામાં સરળતા રહેશે.
MD કેતન જોષીના જણાવ્યા મુજબ, દરેક નવા સબ ડિવિઝનમાં 40-40 કર્મચારીઓને ફરજો સોંપવામાં આવશે. જેમાં નાયબ ઈજનેર, જૂનિયર ઈજનેર, આસિસ્ટન્ટ, લાઈનમેન તથા હેલ્પર વગેરેનો સમાવેશ થતો હોય છે. આ રીતે સ્ટાફ મૂકાશે એટલે રિપેરીંગના કામોમાં હાલની સરખામણીએ 20 ટકા જેટલી ઝડપ વધારી શકાશે. હજારો ગ્રાહકોને સુવિધાઓ ઉપલબ્ધ થશે.
નવા સબ ડિવિઝન બનતા દરેક સબ ડિવિઝનમાં ગ્રાહકોની સંખ્યા ઘટશે. તેથી ફોલ્ટ સમારકામ ઝડપી બનશે. વીજબિલ ભરવા માટેની કતાર ઘટશે. નવા જોડાણો આપવાની તથા ફોલ્ટી મીટર બદલવાની ઝડપ વધશે. વીજચોરી કરનારાઓ પર વધુ સારી રીતે ફોક્સ કરી શકાશે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના સબ ડિવિઝનમાં 33,000 અને શહેરી વિસ્તારમાં 45,000 ગ્રાહકોથી વધુ ગ્રાહકો થઈ જાય એટલે નવા સબ ડિવિઝન માટેની દરખાસ્ત થતી હોય છે અને અભ્યાસ બાદ આ દરખાસ્ત મંજૂર થતી હોય છે.
-જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર કહે છે…
નવા સબ ડિવિઝન સંબંધે Mysamachar.in દ્વારા આજે સવારે જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર હસિત વ્યાસનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે જણાવ્યું છે કે, અમારા દ્વારા જામનગર વીજસર્કલમાંથી એક માત્ર ફલ્લા માટે નવા સબ ડિવિઝનની દરખાસ્ત કરવામાં આવી હતી. જામનગર કચેરીએ આ માટે બધી જ તૈયારીઓ કરી લીધી છે. સ્ટાફની વ્યવસ્થાઓ બાકી છે, જરૂરી સ્ટાફ હાજર થઈ જતાં જ સબ ડિવિઝનની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવશે. સામાન્ય રીતે સ્ટાફની નિમણૂંકની આ બાબતો અઢી મહિના જેટલો સમય લેતી હોય છે.(symbolic image)