Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દરવખતે મોટી દુર્ઘટનાઓ થાય બાદ જ તેમાંથી બોધપાઠ લેવાનો પણ તે પહેલા કોઈ નક્કર આયોજન નહિ કરવાનું તંત્રની માનસિકતા દ્વારકા જીલ્લામાંથી પણ છતી થઇ છે.તાજેતરમાં જ દ્વારકાના ગોમતીઘાટે કેટલાક પ્રવાસીઓની તણાઈ જવાની અને તેમાંથી એક યુવતીનું મોત થયાની ઘટના સામે આવ્યા બાદ દ્વારા તંત્રને આ મામલે કઈક કરવું પડશે તેવું લાગતા આજે કામગીરીનો ઢોલ પીટ્તી અખબારી યાદી જાહેર કરવામાં આવી છે જેને જાણકારો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી ગણાવે છે, શું તંત્રને અત્યારસુધી એ નહોતી ખબર કે અહી અકસ્માત પણ સર્જાઈ શકે કોઈનો જીવ પણ જઈ શકે.. તેવા સવાલો પણ તંત્ર સામે ખડા થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય ઘટનાના બને તે માટે ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પ્લાનિંગ પણ સુચારું રીતે કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે.ઉપરાંત શ્રદ્ધાળુઓની સલામતીના ભાગરૂપે હાઇ સ્પીડ રેસ્ક્યુ બોટ તેમજ રીમોટ કન્ટ્રોલ લાઇફ બોય સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ન જાય તે માટે જરૂરી પૂરતી વ્યવસ્થાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.પણ કોઈ ના જીવ ગયા પછી જાગેલું તંત્ર કેટલો સમય જાગતું રહેશે તે જોવું મહત્વનું છે.