Mysamachar.in-જામનગર:
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘેર બાથરૂમમાં પટકાઈ પડી હતી, અને તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જેના મૃત્યુ પછી મૃતકના પરિવારજનો દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચક્ષુદાન કરવાનો સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે, આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં વૃજ વિહાર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૫૦૨ માં રહેતી આરતીબેન દિલીપભાઈ ભૂત નામની 24 વર્ષીય કંસારા યુવતી કે જે પરમદીને પોતાના ઘેર બાથરૂમમાં એકાએક પડી ગઈ હતી, અને હેમરેજ સહિતની ઇજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.આ બનાવ અંગે મૃતક યુવતીની મોટીબેન રીમાબેન દિલીપભાઈ ભૂત એ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવતીનું તેણીના પરિવારજનો દ્વારા જામનગરની જી.જી હોસ્પિટલ ની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.






