Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં જુદાં જુદાં આધારકાર્ડ કેન્દ્રો પર ઘણાં દિવસોથી સેંકડો અરજદારો વિવિધ કારણોસર પરેશાન થઈ રહ્યા છે, એવા હોબાળા વચ્ચે ખુદ શહેર મામલતદાર સ્વીકારે છે કે, તેમની કચેરીમાં આધારકાર્ડ કામગીરીઓ આઠેક દિવસથી બંધ છે. અને, આ અંગે છેક ગાંધીનગર જાણ કરવામાં આવી છે.
શહેર મામલતદાર વી.આર.માકડિયાએ જણાવ્યું છે કે, એમની કચેરીના આધારકાર્ડ કેન્દ્રની કામગીરીઓ સંભાળતા કોમ્પ્યુટર ઓપરેટરનું આઈડી સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય, આઠેક દિવસથી આધારકાર્ડ સંબંધિત કામગીરીઓ બંધ છે અને નવા ઓપરેટરની નિમણૂંક અંગે સરકારમાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશન, શિક્ષણ વિભાગ અને કેટલીક બેંકો હસ્તક આધારકાર્ડ કામગીરીઓ થઈ રહી છે.
જિલ્લા સેવા સદન ખાતે આવેલા આ આધારકાર્ડ કેન્દ્રની કામગીરીઓ દિવસોથી બંધ હોય, અનેક અરજદારોને ધક્કા થઈ રહ્યા છે. ઘણાં લોકોએ પોતાના ‘રોજ’ ગુમાવીને, ધંધા રોજગાર બંધ રાખીને, ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં આવવા-જવા 300-400 રૂપિયાનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ખરેખર તો આ કામગીરીઓ હાલ બંધ હોવા અંગે તંત્રએ જાહેરાત કરી દેવી જોઈએ એમ પણ ઘણાં અરજદારો કહી રહ્યા છે. આજે આ બાબતે રજૂઆત માટે અરજદારો પ્રાંત કચેરીએ આવેલાં પણ અધિકારી ત્યારે કચેરીમાં ન હતાં તેથી અરજદારો નિરાશ થઈ ગયા. અરજદારો એમ પણ કહે છે કે, બધી નિશાળો અને બેંકો તથા પોસ્ટ કચેરીએ વગેરેમાં આધારકાર્ડ કામગીરીઓ ફરજિયાત રીતે થવી જોઈએ.
અરજદારો એમ પણ કહે છે કે, કેટલાંક આધારકાર્ડ સેન્ટર પર રાત્રે બાર વાગ્યે પહોંચી કેટલાંક અરજદારો રિક્ષામાં સૂઈ જાય છે, કેટલાંક અરજદારો વહેલી સવારે 3-4 વાગ્યે સેન્ટર પર પહોંચી જાય છે અને સવારે પોતાનો ‘વારો’ વહેલો આવી જાય તે માટે આ રીતે રાત ઉજાગરા કરવા મજબૂર બને છે.