Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં સગીરા પર દુષ્કર્મના એક કેસમાં પોક્સો અદાલતે આરોપીને આકરી સજાનો હુકમ કર્યાનું જાહેર થયું છે, આ કેસની વિગત એવી છે કે, આરોપી અશ્વિન જયંતિલાલ ગોહેલે તા. 20/08/2023 ના રોજ ફરીયાદીની સગીર વયની 7 વર્ષની પુત્રી સાથે વાડીએ મોબાઈલમાં રમતી હોય ત્યારે આરોપીએ ત્યાં જઈ ભોગબનનારને પાછળથી પકડી, નીચે સુવડાવી ભોગબનનાર સાથે દુષ્કર્મ કરી, બળાત્કાર ગુજારી, બળજબરી કર્યા અંગેની ફરીયાદ જોડીયા પોલીસ મથકમાં ફરીયાદી ઘ્વારા નોંધાવવામાં આવેલ હતી. જે ફરીયાદના અનુસંધાને તપાસ કરનાર પોલીસ અધિકારી ઘ્વારા ગુનાની તપાસ કરી આરોપી વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-376(એ)(બી) તથા પોકસો એકટની કલમ-4,5 (એમ) અને 6 મુજબનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી.

જે કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાનીઓ તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ 37 જેટલા દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતાં જણાવેલ કે, આરોપી સામે સગીર વયની બાળા સાથે બદકામ, તેમજ દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે, તેમજ સમાજમાં દિન-પ્રતિદિન આ પ્રકારના વધતા જતાં ગુનાઓને કારણે સગીર વયની બાળાઓ ઉપર આવા દુષ્કૃત્યથી જીવન પર્યંત માનસિક અસર પડે છે. આરોપી સામે પ્રથમદર્શનીય કેસ હોય આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી આરોપીને મહતમ સજા અને દંડનો હુકમ કરવા રજુઆત કરેલ હતી. જે રજુઆતો ધ્યાને લઈ જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હકીકતો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂા.25,000ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, તેમજ ભોગબનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. 4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે.
