Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજયમાં ઘણાં વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતોએ મગફળી વાવી છે પરંતુ સરકારના સેટેલાઇટ સર્વેમાં આ મગફળી દેખાઈ રહી નથી. આથી ટેકાના ભાવે મગફળી વેચવા સંબંધે સમસ્યાઓ હોય, સરકારે આ માટે ખેડૂતજોગ સંદેશ જાહેર કર્યો છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે. આજ તા. 17 સપ્ટેમ્બર સુધીમાં જ, રાજ્યના 8.79 લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે, 66000 થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, 5000 થી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ 11000 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.
અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10 ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMSના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.
નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો SMS મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. ખેતી નિયામકની કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લેસ્ટોરમાંથી Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કર્યો છે.