Mysamachar.in-ગાંધીનગર:
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.
NDRFના અધિકારીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.