Mysamachar.in-જામનગર:
જામનગર પંથક માટે ગઈકાલનો રવિવાર લોહિયાળ સાબિત થયો. જુદાજુદા 2 માર્ગ અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓનો ભોગ લેવાયો. એક અકસ્માત જામનગર નજીક તથા એક અકસ્માત લાલપુર પંથકમાં સર્જાયો છે. જામનગર નજીક એક અકસ્માત લાખાબાવળના પાટીયા પાસે સર્જાયો. આ અકસ્માતની જાહેર થયેલી વિગત એવી છે કે, જામનગરના એરફોર્સ રોડ વિસ્તારમાં રહેતો પિયુષ બાબુભાઈ ધવડ નામનો 19 વર્ષનો યુવાન જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.
રવિવારે બપોરે 2 વાગ્યા આસપાસ આ બાઈક લાખાબાવળના પાટીયા નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પૂરઝડપે દોડી રહેલા એક ટ્રકે આ બાઈકને હડફેટમાં લઈ લેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિયુષ નામના યુવાનનું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ ઉપરાંત આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થવાથી તેને તાકીદે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું પણ મોત થતાં આ અકસ્માતમાં મૃત્યુ આંક 2 થઈ ગયો હતો.સિક્કા પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય એક અકસ્માત લાલપુરના બબરજર નજીક સર્જાયો છે. આ અકસ્માતમાં એક બાઈક પુલ પરથી નીચે ખાબકતા 2 નો ભોગ લેવાયો છે. લાલપુર તાલુકાના ગોવાણામાં રહેતા અને મધ્યપ્રદેશના વતની તથા ખેતમજૂરી કરતા, 40 વર્ષના દયારામ ડાવર બાઈક ચલાવી રહ્યા હતાં તે બાઈક બબરજર-ગોવાણા વચ્ચેના માર્ગ પર એક પુલની પાળી સાથે અથડાઈ પુલ નીચે ખાબકયુ. જેને કારણે આ ટ્રિપલસવારી બાઈક પરના 2 વ્યક્તિનો આ અકસ્માતમાં ભોગ લેવાયો.
આ અકસ્માતમાં બાઇકચાલક દયારામ ડાવર ઉપરાંત બાઈક પર બેઠેલા સાવન નામના 35 વર્ષના અન્ય એક યુવાનનું માથામાં ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. આ ઉપરાંત બાઈક પર બેઠેલા 40 વર્ષના અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થવાથી તેને 108 મારફતે તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેનું નામ અમરસિંહ હોવાનું જાહેર થયું છે. કૈલાશ નામના અન્ય એક ખેતમજૂરે આ અકસ્માત અંગે પોલીસમાં જાણ કરી છે. અને પોલીસે ઈજાગ્રસ્ત અમરસિંહનું નિવેદન નોંધ્યુ છે.