Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત માહિતી આયોગ છેલ્લા કેટલાંક સમયથી પ્રો-એક્ટિવ બન્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. RTI અરજદારો માટે ‘અચ્છે દિન’ શરૂ થયાની પ્રતીતિ થઈ રહી છે. આયોગ સરકારી વિભાગો પ્રત્યે કડક વલણ અખત્યાર કરી રહ્યું છે. દરમ્યાન, એક ચોંકાવનારી હકીકત એ બહાર આવી કે, રાજ્યના ‘પોલીસ’ વિભાગ સંબંધે લોકોમાં મોટી નારાજગીઓ છે, એક જ વર્ષમાં આયોગને આ બાબતે હજારો અરજીઓ મળી.
ગુજરાત માહિતી આયોગનો એક રિપોર્ટ જણાવે છે કે, કોઈ RTI અરજદારે અરજી સાથેની જરૂરી ફી જમા કરાવવા પોલીસ સ્ટેશન સહિતની કોઈ પણ સરકારી કચેરીઓએ જવું ફરજિયાત નથી. આ ફી નું ચૂકવણું ડિમાંડ ડ્રાફ્ટ કે અન્ય કોઈ રીતે કરી શકવાનો વિકલ્પ પણ અરજદારો માટે ઉપલબ્ધ છે.
માહિતી આયોગે એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે, અરજદારે ફી ભરવા કે માહિતીઓ મેળવવા પોલીસ સ્ટેશન કે અન્ય કોઈ સરકારી વિભાગમાં રૂબરૂ જવું ફરજિયાત નથી. એક પોલીસ સ્ટેશનના જાહેર માહિતી અધિકારી એવા ફોજદાર માહિતી સંબંધેના નિયમોની જાણકારીઓ રાખવા અંગે બેદરકાર હોવાનું બહાર આવતા આયોગે આ ફોજદારને રૂ. પાંચ હજારનો દંડ કર્યો.
નવસારી પંથકના આ ફોજદારે RTI અરજી સંબંધે એક મહિલા અરજદારને પોલીસ સ્ટેશને રૂબરૂ આવવા કહેલું. આથી દંડ થયો. આ મામલામાં અરજદારે અધિકારીને નિયમની જાણકારી પણ આપી હતી. એમ છતાં ફોજદારે જિદ ચાલુ રાખી. પછી મામલો SP સુધી પહોંચ્યો. એસપી પણ આ નિયમ અંગે અજાણ હતાં. આથી અરજદાર માહિતી આયોગમાં પહોંચી ગયા. આયોગે ફોજદારને દંડ કર્યો.
-આ વિગતો અને માહિતીઓ પણ જાણવા જેવી…
ગુજરાત માહિતી આયોગના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2023-24 દરમ્યાન ગૃહવિભાગને લગતી સૌથી વધુ 40,263 અરજીઓ આયોગને મળી. અનેક કિસ્સાઓમાં નાગરિકો કે અરજદારો દ્વારા એવી ફરિયાદો ઉઠતી હોય છે કે, ફરિયાદની માહિતીઓ માગવામા આવે ત્યારે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે એ સમયે અરજદારને તેમની સાથે અપમાનજનક વર્તણૂંક થવાનો ડર હોય છે. તે સાથે અરજદાર પર દબાણ પણ થઈ શકે છે. જો કે, માહિતી આયોગના આ ચુકાદા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે પોલીસ અધિકારીઓ કે અન્ય કોઈ સરકારી અધિકારીઓ અરજદાર પર તેવી કોઈ ફરજ પાડી શકશે નહીં.