Mysamachar.in-રાજકોટ:
રસ્તાઓ પર ઉભી રહેતી પરચૂરણ લારીઓથી માંડીને હોટેલ અને રેસ્ટોરન્ટ વગેરેના ખાણીપીણીના ધંધાર્થીઓ પુષ્કળ નાણું કમાવા અને ખાઉધરા ઘરાકોની જીભના ટેસ્ટને સંતોષવા- ખાણીપીણીની અનેક ચીજોમાં અનેક પ્રકારની ઘાલમેલ કરતાં રહે છે અને લોકોના આરોગ્ય અને જિંદગીને ચેડા કરે છે, જોખમ પણ સર્જે છે. છતાં રાજ્યમાં આ સંબંધે કયાંય ગંભીરતા જોવા મળતી નથી ! આવો એક મામલો ‘દાબેલી’ અંગે જાહેર થયો જે અત્યંત ચિંતાઓ ઉપજાવનારો છે.
‘દાબેલી’ ખાનારાઓ અને ઝાપટનારાઓની સંખ્યા લાખોમાં હોય છે. પરંતુ દાબેલીના મસાલા તથા ચટણીઓની ક્વોલિટી ? એ સવાલ છે. દાખલા તરીકે રાજકોટનો એક કિસ્સો જાણવા જેવો છે. રાજકોટમાં કૈલાસની દાબેલી પ્રખ્યાત છે. 2014માં ફૂડ શાખાએ નમૂના લીધા. નમૂનાઓ ફેલ થયા. આ દાબેલી અનસેફ ફૂડ જાહેર થઈ ગઈ. તે પછી પણ લાખો લોકોએ આ દાબેલી ખાધી. તે દરમ્યાન નમૂનાઓ ફેલ થતાં, આ ધંધાર્થી અદાલતમાં ગયો. અદાલતે આ ધંધાર્થીને દંડ અને સજાનો હુકમ કર્યો. અદાલતે હવે 2025માં આ કેસનો ચુકાદો આપી, આ ધંધાર્થીને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો અને કોર્ટ ઉઠતા સુધીની સજા કરી. દંડ ન ચૂકવી શકે એમ હોય તો એક મહિનાની જેલનો પણ હુકમ કર્યો.
મામલામાં અતિ ગંભીર બાબત એ છે કે, ખુદ અદાલતે ચુકાદામાં કહ્યું કે- દાબેલીમાં કેન્સર થાય તેવા ભરપૂર માત્રામાં તત્ત્વો છે. દાબેલીમાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલામાંથી અનેક ગંભીર રોગો થાય એવા પદાર્થો મળી આવ્યા છે. ઘણાં લોકોને આવા રોગ થયા પણ હશે. આ દાબેલીના માવા તથા કલરવાળી ચટણીના નમૂનાઓ ફેલ થયા હતાં. અનસેફ હતાં. જો કે આ સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં અગિયાર વર્ષ વીતી ગયા. જેતે સમયે આ ધંધાર્થીનો ધંધો બંધ કરાવવામાં આવ્યો હતો. પરંતુ જાણકારોના કહેવા મુજબ તેણે બીજી જગ્યાએ બીજા નામથી ધંધો ચાલુ જ રાખ્યો હશે ! ધીકતી કમાણીનો ધંધો કોઈ બંધ કરે ??(presentation image)