Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં ત્રણ દાયકાથી એકધારું ભાજપનું શાશન છે અને આ એકધારા શાસન છતાં શાશકો જયારે શહેરને પાણી પૂરું પાડતા જળાશયો છલોછલ હોય ત્યારે પણ દૈનિક પાણી વિતરણ કરી શકતા નથી તે વાસ્તવિકતા છે, દૈનિક વોટર ચાર્જીસ વસુલતી મનપાને દૈનિક પાણી વિતરણ કરવામાં શું વાંધો કે વિઘ્ન છે તે બાબત ક્યારેય લોકો સમક્ષ જાહેર કરતી નથી, ત્યારે શહેરીજનો માટે આ અત્યંત જરૂરી વિષય પર જામનગરની સંસ્થા જન જાગૃતિ અભિયાન સમિતિએ પણ શાશકોને પત્ર દ્વારા રજૂઆત કરી છે સંસ્થાના પ્રમુખ ભરત કાનાબારે કરેલ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી પુરતો વરસાદ થઇ રહયો છે અને પ્રતિવર્ષ રણજીતસાગર ડેમ તેમજ તમામ ડેમો ઓવરફલો થઇ રહયા છે. પરંતુ જામનગર શહેરમાં એકાંતરા પાણી વિતરણ મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવે છે. ધણાં વર્ષ પહેલાં વરસાદ ખેંચાયેલ અને દુષ્કાળના દિવસ ત્યારથી જામનગર શહેરમાં એકાંતરા પાણી વિતરણ શરૂ કરવામાં આવેલ છે.પરંતુ ઘણાં વર્ષથી નિયમિત વરસાદ વરસી રહયો છે અને ડેમ છલકાઇ રહયા છે તેમ છતાં પાણી દૈનિક ધોરણે વિતરણ કરવામાં આવતું નથી જે શહેર માટે દુઃખદ બાબત છે.
જામનગર શહેરમાં ધણાં વરસોથી જામનગર મહાનગરપાલીકા તેમજ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જામનગરની પ્રજા જામનગર મહાનગરપાલીકાને માંગ્યા મુજબના તમામ પ્રકારના ટેકસ, કરવેરાઓ, વોટર ચાર્જીસ, સફાઈ ચાર્જીસ સહિતના વિવિધ ચાર્જીસ નિયમીત ચુકવે છે. દર પાંચ વર્ષે યોજાતી મહાનગરની ચુંટણીમાં પણ પ્રજાજનો પેટભરીને મત આપે છે તે કારણે જામનગર મહાનગરપાલીકામાં ભાજપની બહુમતી ધરાવતું શાસન છે. આમ પ્રજા પાસેથી જે વોટર ચાર્જીસ વસુલ લેવામાં આવે છે તે કાયમી પાણી વિતરણ માટે વસુલ લેવામાં આવે છે એકાંતરા પાણી વિતરણ માટે નહી. જયારે પુરતો વોટર ચાર્જીસ વસુલ લેવામાં આવતો હોય તો પાણી વિતરણ પણ કાયમી થવું જરૂરી છે
કદાચ દુષ્કાળના સંજોગો હોય અને અપુરતો વરસાદ થયેલ હોય તેવા સંજોગોમાં પાણી વિતરણ કરકસર માટે એકાંતરા થાય તો વ્યાજબી છે અને તે પ્રજા પણ સમજે છે અને સ્વીકારે છે.પરંતુ ચાલુ વરસે અને ગત વર્ષોમાં પણ જામનગર શહેરમાં વ્યાપક વરસાદ થઇ રહેલ છે. તાજેતરમાં બે દિવસ પહેલાં જ પ્રથમ વરસાદમાં રણજીતસાગર ડેમ ઓવરફલો થઇ ગયેલ છે અને હજુ મોટાભાગના ચોમાસાની સીઝન બાકી છે અને પુરતો વરસાદ થશે તેવા તમામ સંજોગો અને વાતાવરણ છે તે સંજોગોમાં હાલ રણજીતસાગર ઓવરફલો થવાના કારણે વધારાનું પાણી અલગ-અલગ સ્તોત્ર મારફતે દરીયામાં વહી જાય છે. આમ પાણીનો પુરતો ઉપયોગ થઇ શકતો નથી.
નગરની સમજુ અને શાંત પ્રજા જયારે પુરતા કરવેરા અને વોટર ચાર્જીસ ભરપાઈ કરે છે તેવા સંજોગોમાં તેમજ હજુ વરસાદની સીઝન બાકી છે તેવા સંજોગો ઘ્યાને લઇ જામનગર શહેરમાં મહાનગરપાલીકા દ્વારા કાયમી પાણી વિતરણ શરૂ કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી હોવાનો ઉલ્લેખ પણ પત્રના અંતે કરવામાં આવ્યો છે.