Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના મુખ્યમંત્રી સિટીઝન ફર્સ્ટનો અભિગમ ધરાવતા હોય, આ સ્થિતિઓ સુધી પહોંચવા, સરકારે બનાવેલા વહીવટી સુધારણા પંચે પોતાનો ત્રીજો અહેવાલ CMને સુપરત કર્યો છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે.
આ પંચ હસમુખ અઢીયાના વડપણ હેઠળ કામ કરે છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી નાગરિક કેન્દ્રી, ઝડપી અને પારદર્શી શાસનના નિર્માણ માટે આ પંચની રચના સરકારે કરી છે અને પંચ પોતાની ભલામણો સરકારને સુપ્રત કરી રહ્યું છે, જેનો અભ્યાસ કરીને સરકાર આગામી સમયમાં વહીવટી સુધારાઓ અપનાવી શકે છે.
પંચના ત્રીજા અહેવાલમાં 10 ભલામણ મુખ્ય છે. જેમાં કહેવાયું છે કે, દરેક નાગરિકને ડિજિ-લોકરની સુવિધાઓ આપવી જોઈએ, જેમાં નાગરિક પોતાના તમામ દસ્તાવેજ સાચવી શકે. દરેક સરકારી ઓનલાઈન સેવાઓ આ લોકર સાથે લિંક કરી શકાય. આ ઉપરાંત કહેવાયું છે કે, દરેક સરકારી નિવૃત કર્મચારીઓની પેન્શન સંબંધિત બાબતોને એક ઓટોમેટેડ અપડેટ થતાં પ્લેટફોર્મ સાથે જોડી શકાય અને નોકરી પૂર્ણ થતાં બીજે જ દિવસે કર્મચારીનું પેન્શન આ પોર્ટલ પર જમા થઈ જાય એવી વ્યવસ્થાઓ ગોઠવી શકાય.
આ ઉપરાંત આ ભલામણોમાં અન્ય ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થી- એક આઈડી પોર્ટલ, સરકારના બધાં જ GRનું સંકલન, સરકારી સંપત્તિઓ અને સેવાઓનું GIS બેઝડ સંકલન, નાગરિક સેવાઓ સંબંધે તમામ નાગરિકોને વોટ્સએપ જેવા માધ્યમથી અપડેટેડ રાખવા, જાહેર પરિવહન સેવાઓમાં UPI તથા QR કોડનો મહત્તમ ઉપયોગ એમ કુલ 10 ભલામણ સરકારને સોંપવામાં આવી છે. જો આ બધી જ ભલામણોનો સુચારૂ રીતે અમલ કરી શકાય તો, નાગરિકોની હાલાકીઓ ઓછી થાય અને સેવાઓ નાગરિક કેન્દ્રી બનાવી શકાય.