Mysamachar.in:જામનગર:
જામનગરની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા એચ.જે.દોશી કોલેજમાં 15 વર્ષથી એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. તૌસિફખાન પઠાણને આ જ કોલેજમાં હવે પ્રિન્સિપાલની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કોલેજ ભારતીય વિદ્યા ભવન સંચાલિત છે. ભવનના જામનગર કેન્દ્રના ચેરમેન હિમાંશુ દોશી, વાઈસ ચેરમેન નિમિષ દોશી, સેક્રેટરી જ્યોતિન્દ્ર વચ્છરાજાની તથા ટ્રસ્ટીઓ મહેશ સારડા, રજનીકાંત પ્રાગડા અને જય ભાઉની ટીમ દ્વારા તેમને આ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. તૌસિફખાન પઠાણ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં નોંધનીય કારકિર્દી ધરાવે છે. તેમણે માસ્ટર ડિગ્રી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી આ ક્ષેત્રમાં ડોકટરેટની પદવી હાંસલ કરી છે. એમના માર્ગદર્શન મુજબ અત્યાર સુધીમાં આ કોલેજમાંથી રમતગમત ક્ષેત્રમાં 40થી વધુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમી શક્યા છે. તેઓ ખુદ પણ 6 વખત સારા એથ્લેટિક્સ તરીકે રાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂક્યા છે. આ કોલેજમાં એમની પ્રિન્સિપાલ સુધીની સફર પ્રેરક રહી છે, હજારો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત પૂરવાર થયા છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત મૂંઝવણો અને શૈક્ષણિક ક્ષેત્રમાં એમણે હંમેશા ઉમદા માર્ગદર્શન પૂરૂં પાડ્યું છે.