Mysamachar.in-જામનગર:
જામનગર સહિત કોઈપણ મહાનગર હોય, કરદાતા નગરજનોની પ્રાથમિક ફરજ એ હોય છે કે, સમયસર બધાં જ વેરાઓ અને ચાર્જીસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને એટલે કે મહાનગરપાલિકાને ચૂકવી આપે. આ નાણાંનો ઉપયોગ શહેરના તમામ કામોમાં તથા વિકાસકામોમાં થતો હોય છે, જેનો લાભ તમામ કરદાતા નગરજનોને મળતો હોય છે. ચોપડામાંની આ વાત પ્રથમ નજરે સારી લાગે પરંતુ જામનગરની સ્થિતિઓ વિચિત્ર છે- આપણાં શહેરમાં ‘મનપા’ના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજી રહ્યા હોય એવો ઘાટ છે !
જામનગરમાં જે કરદાતાઓ સમયસર મહાનગરપાલિકાને બધાં જ વેરાઓ અને ચાર્જીસ ચૂકવી રહ્યા છે તેઓ મૂરખ સાબિત થઈ રહ્યા છે. અને, જે કરદાતાઓ મહાનગરપાલિકાને વેરાઓ અને ચાર્જીસ ચૂકવતા નથી, વર્ષો સુધી નાણાં ભરતા નથી- તેઓ ‘ચતુર’ સાબિત થઈ રહ્યા છે. કારણ કે, મનપાના શાસકો આવા ‘ચતુર’ કરદાતાઓના લાભ માટે વારંવાર વ્યાજમાફીની યોજનાઓ જાહેર કરે છે ! શાસકો ‘ખોટી’ પદ્ધતિને તથા ‘ખોટાં’ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે ! જેને કારણે મનપા કાયમ માટે નાણાંભીડ અનુભવી રહી છે, પગારનાય ફાંફા રહે છે અને થોડાથોડા સમયે ‘કટોરો’ લઈ ગાંધીનગર જવું પડે છે !!
ગઈકાલે શુક્રવારે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયરે સભાના અધ્યક્ષસ્થાનેથી જાહેરાત કરી દીધી કે, જે કરદાતાઓએ 2006 થી 2025-26 સુધીના વેરાઓ અને ચાર્જીસ મહાનગરપાલિકાને આપ્યા નથી, તે તમામ કરદાતાઓનું વ્યાજ માફ !! મેયરની આ જાહેરાત આડકતરી રીતે શહેરના પ્રમાણિક કરદાતાઓના ગાલ પર ‘ફડાકો’ છે. તેઓ નિયમિત વેરાઓ અને ચાર્જીસ ચૂકવે છે- એ એમનો વાંક ?!
-આ જાહેરાત પાછળ 2 ગણતરીઓ હોવાની ચર્ચાઓ..
જનરલ બોર્ડની બેઠકમાં વધુ એક વખત આ રીતે, વહીવટી પાંખની દરખાસ્ત ન હોવા છતાં, શાસકોએ ચેર પરથી વ્યાજમાફીની આ જાહેરાત કરતાં શહેરમાં ચર્ચાઓ એ જાગી છે કે, હાલમાં કોર્પોરેશન અને ઉદ્યોગકારો વચ્ચે બાકી વેરાઓ મામલે જે બબાલ ચાલી રહી છે તેમાં ઉદ્યોગકારોને ‘લાભ’ કરાવી આપવા શાસકપક્ષમાંના કોઈનો ‘અવાજ’ કામ કરી ગયો હોય શકે અને સાથેસાથે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે. જો કે, તટસ્થ વિચારધારા ધરાવતા પ્રમાણિક કરદાતાઓની ચર્ચાઓનો સૂર એ છે કે, શાસકો ખોટી માનસિકતા ધરાવતા લોકોને ઉતેજન આપી રહ્યા છે, શાસકોની આ નીતિ મનપાની તિજોરીને નુકસાન કરી રહી છે !!