Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની એક શાળાના એક શિક્ષકને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરની ચોક્કસ પ્રકારની પોસ્ટને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પ્રકરણ આજે શુક્રવારે ઘાટું બન્યું છે. શિક્ષકની તરફેણ અને તેનો વિરોધ બંને આગળ વધી રહેલાં દેખાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમિતિ હસ્તકની શાળા નંબર 18ના શિક્ષક રામગોપાલ મિશ્રાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરની ચોક્કસ પ્રકારની તેમની પોસ્ટના કારણસર સમિતિ દ્વારા થોડા દિવસ અગાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ શિક્ષકની તરફેણમાં રજૂઆત પણ થયેલી. તે પછી આજે શુક્રવારે આ શાળા નંબર 18માં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આશરે 500 જેટલાં વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે વિદ્યાર્થીઓએ ‘રજા’ રાખી દીધી હતી. અને, એ રીતે સસ્પેન્ડ શિક્ષકની તરફેણ કરવામાં આવી.
-સમિતિના શાસનાધિકારીએ કહ્યું કે…
આજે શુક્રવારે આ શાળા બંધ મામલે તથા શિક્ષકના સસ્પેન્શન સંબંધે વિગતોની જાણકારીઓ માટે Mysamachar.in દ્વારા શાસનાધિકારી ફાલ્ગુની પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે શાળા આજે બંધ હોવા અંગે એમ જણાવ્યું કે, આ બાબતે એમને કોઈ સત્તાવાર જાણકારીઓ નથી પરંતુ મીડિયાકર્મીઓ મારફતે એમને આજે શાળામાં વિદ્યાર્થીઓએ રજા રાખી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ છે.
આ ઉપરાંત એમણે શિક્ષક સસ્પેન્ડ થયા બાબતે કહ્યું કે, આ પ્રકરણમાં શિક્ષણ સમિતિએ જે નિર્ણય લીધો છે તે નિર્ણયના અનુસંધાને, તેઓની કક્ષાએથી આ સમગ્ર પ્રકરણને રાજ્ય સરકાર સમક્ષ મૂકવા માટેની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર વિગતોના અભ્યાસ બાદ સરકારમાંથી આ સંબંધે જે આગામી સૂચનાઓ મળશે તે અનુસાર આ બાબતમાં આગળની વધુ કાર્યવાહીઓ કરવામાં આવશે, એમ શાસનાધિકારી ફાલ્ગુની પટેલએ આ વાતચીતના અંતમાં જણાવ્યું હતું.