Mysamachar.in-જામનગર:
જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક બ્રાસ ફેકટરીમાં થોડા દિવસ અગાઉ સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકો પૈકી એકનું મોત થતાં, આ ફેકટરી વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવા ઉપરાંત આ ફેકટરીનું પ્રોડક્શન પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
આ દુર્ઘટનાની વિગતો એવી છે કે, GIDC દરેડ ઉદ્યોગનગર ફેઝ-થ્રીમાં આવેલી શાંતિ મેટલ્સ નામની બ્રાસ ફેકટરીના ભઠ્ઠી ખાતામાં, ગત્ 15મી જૂને પિતળની ધાતુને ઓગાળવાની પ્રક્રિયાઓ સમયે એક ધડાકા સાથે પિતળનો ધગધગતો રસ ફેકટરીમાં જોરથી ઉડયો હતો. આ સમયે ચાર શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતાં. અને આ ચારેય દાઝી ગયેલા શ્રમિકોને જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જે પૈકી એક શ્રમિકનું સારવારમાં મોત થયું છે.
આ સંબંધે આજે ગુરૂવારે સવારે Mysamachar.in દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગના મુખ્ય અધિકારી યોગેશ પેંઢારનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં જે ચાર શ્રમિક દાઝી ગયા હતાં તે પૈકી એક શ્રમિક ઓછો દાઝયો હતો, જે સારવાર બાદ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. અને બે શ્રમિકની સારવાર હાલ પણ જીજી હોસ્પિટલમાં ચાલી રહી છે અને દાઝી ગયેલા ચાર શ્રમિક પૈકી 31 વર્ષનો વિજયપાલ તેજરામ રાજપૂત અતિ ગંભીર રીતે દાઝેલો હોય, સારવારમાં જહેમત ઉઠાવવામાં આવી છતાં તેની જિંદગી બચાવી શકવામાં તબીબો સફળ રહી શક્યા નથી.
શાંતિ મેટલ્સ વિરુદ્ધ શું કાર્યવાહીઓ કરવામાં આવી ? એ પ્રશ્નના ઉત્તરમાં અધિકારીએ જણાવ્યું છે કે, આ બ્રાસ ફેકટરીમાં તાકીદની અસરથી પ્રોડકશન કામગીરીઓ બંધ કરાવી દેવામાં આવી છે. અને આ ફેકટરીનું સેફ્ટી સંબંધે ઈન્સ્પેક્શન કરી જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને જ્યાં સુધી આ ફેકટરીમાં સુરક્ષા સલામતી માટેની બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી આ ફેકટરીમાં પ્રોડકશન ફરી શરૂ કરવામાં આવશે નહીં.
આ સાથે જ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના મુખ્ય અધિકારી યોગેશ પેંઢારએ એમ પણ કહ્યું કે, શાંતિ મેટલ્સ નામની આ પેઢી વિરુદ્ધ નિયમ અનુસાર ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસમાં પોલીસને પણ જોડવામાં આવી છે. આ સંબંધે કાયદાકીય જોગવાઈ અનુસારની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે.