Mysamachar.in-રાજકોટ:જામનગર:
જામનગર અને રાજકોટમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના નવા નવા કેસ મળી રહ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓ કોઈ ‘લહેર’નો જો કે ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ કોરોના બાબતે ભૂતકાળ ડરામણો સાબિત થયો હતો તેથી આજે પણ લોકોમાં આ સંબંધે ચિંતાઓ તો છે જ તે દરમ્યાન, જામનગર અને રાજકોટ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર બાબતે હાલ શું સ્થિતિઓ છે- તે જાણવામાં ઘણાં લોકોને રસ પડી રહ્યો છે.
ભૂતકાળમાં કોરોનાની જ્યારે બીજી અને ભયાનક લહેર આવેલી ત્યારે, જામનગર અને રાજકોટમાં સ્થિતિઓ અતિ કરૂણ બનેલી. જેતે સમયે દિલ્હી સરકારે ગુજરાતને અને ગુજરાત સરકારે રાજકોટ સિવિલ હોસ્પિટલને 400 વેન્ટિલેટર ખાસ કિસ્સામાં આપ્યા હતાં. હવે હોસ્પિટલ સત્તાવાળાઓ રૂ. 40 કરોડની કુલ કિંમતના આ તમામ 400 વેન્ટિલેટર સરકારને પરત આપી દેશે. કારણ કે, આ 400 પૈકી એક પણ વેન્ટિલેટરનો ઉપયોગ થયો નથી. ઉપયોગ ન થવા પાછળનું કારણ એ છે કે, આ બધાં જ વેન્ટિલેટર પોતે ‘બિમાર’ છે ! PM કેર ફંડમાંથી આવેલા આ 400 વેન્ટિલેટરના રૂ. 40 કરોડ ‘ભૂત’ થઈ ગયા.
રાજકોટ સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓમાં ચર્ચાઓ એવી છે કે, આ વેન્ટિલેટરમાં ઓક્સિજનનું પ્રેશર કે તેમાં વાપરવામાં આવતા મેડિકલ સાધનોનું સેટઅપ વ્યવસ્થિત થતું ન હોય, આ 400 વેન્ટિલેટરનો કયારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ‘ફોલ્ટી’ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં ડોક્ટર્સને ડર છે, ધારેલા પરિણામો ન મળે તો ?!
-જામનગરની જીજી હોસ્પિટલ આ બધી બાબતો અંગે કેટલી સજ્જ ?..
આજે ગુરૂવારે સવારે Mysamachar.in દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીનો આ સંબંધે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.એમના જણાવ્યા અનુસાર, જીજી હોસ્પિટલ પાસે 3 ઓક્સિજન પ્લાન્ટ છે. ત્રણેય કાર્યરત છે. કોન્ટ્રાક્ટર પ્લાન્ટની કાળજી લ્યે છે. બધી જ ચકાસણીઓ થઈ રહી છે અને કોરોના બાબતે પણ જામનગરમાં ચિંતાઓનું કોઈ કારણ નથી. હોસ્પિટલમાં એક પણ કોરોના દર્દી નથી.
આ ઉપરાંત એમણે વેન્ટિલેટર મુદ્દે જણાવ્યું કે, આપણી પાસે 350-400 જેટલાં વેન્ટિલેટર છે. જે પૈકી મોટાભાગના ઉપયોગમાં લઈ શકાય એ સ્થિતિઓમાં છે. ચિંતાઓ નથી કારણ કે, સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી આ બધાં જ વેન્ટિલેટરની દેખભાળ કરે છે. જો કે, આ ટેલિફોનિક વાતચીત દરમિયાન તબીબી અધિક્ષક સ્પષ્ટ કે કોન્ફીડન્ટ જણાયા ન હતાં. શક્ય છે આ બાબતે બધી જ લેટેસ્ટ માહિતીઓ એમને હાલ યાદ ન હોય, એમ પણ બની શકે.(presentation image)