Mysamachar.in-ગુજરાત:
સ્માર્ટ ફોન અને સ્માર્ટ ટીવી તથા સ્માર્ટ ઓડિયો ઉપકરણો- આ તમામ ગેજેટ્સ એવા છે જે લાખો કરોડો નાગરિકો પાસે હોય છે પરંતુ તે સંબંધે સૌથી મોટી વાત એ છે કે, આ ઉપકરણો સ્માર્ટ નથી. તમારી સાથે આ ઉપકરણ મારફતે સાયબર ગુનેગારો ગુનો આચરી શકે છે !
સાયબર ક્રાઈમની દુનિયા એટલી બધી વિસ્તૃત થઈ ચૂકી છે કે, હવે સાયબર ગુનાઓ તમારાં સ્માર્ટ ફોન ઉપરાંત તમારાં ઘરમાં કે ઓફિસમાં રહેલાં સ્માર્ટ ટીવી કે ચોક્કસ પ્રકારના ઓડિયો ઉપકરણના માધ્યમથી પણ તમારી સાથે આચરવામાં આવી શકે છે, ખુદ સરકારે આ સંબંધે ચેતવણીના રૂપમાં સૂચનાઓ જાહેર કરવી પડી છે.
ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT- In દ્વારા એક અલગ પ્રકારનું સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીએ મીડિયાટેક ચિપસેટવાળા સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી અને ઓડિયો ઉપકરણો સંબંધે આ એલર્ટ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયાટેકના ઘણાં ઉત્પાદનોમાં ઘણી મોટી પ્રકારની નબળાઈઓ ધ્યાન પર આવી છે.
આ એલર્ટમાં કહેવાયું છે કે, આ નબળાઈઓનો ગેરફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો આ પ્રકારના ઉપકરણોના વપરાશકારોને નુકસાન પહોંચાડી શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર, મીડિયાટેકના બ્લૂ ટ્રુથ, વાઈ-ફાઈ અને IMS સેવામાં નલ પોઈન્ટર ડિરેફરન્સ, હીટ ઓવરફ્લોમાં અયોગ્ય અધિકૃતતા જેવી અનેક નબળાઈઓ મળી આવી છે.
એજન્સીએ જણાવ્યું છે કે, આ નબળાઈઓનો ગેરલાભ લઈ સાયબર ગુનેગારો સરળતાથી તમારાં આ ઉપકરણને એકસેસ અને નિયંત્રિત કરી શકે છે. હવે લોકોએ વધુ સતર્ક રહેવું પડશે કેમ કે આ ખતરો હવે માત્ર સ્માર્ટ ફોન પૂરતો જ નથી, સ્માર્ટ ટીવી કે આ પ્રકારના ઓડિયો ઉપકરણ મારફતે પણ સાયબર ક્રાઈમ કરનારાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
-સ્માર્ટ યૂઝરે આ સ્થિતિઓમાં હવે શું કરવું જોઈએ ?..
મીડિયાટેકએ પણ આ બગ વિષે પુષ્ટિ આપી છે. કંપનીએ આ માટે સંબંધિત સુરક્ષા મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ પ્રકારના કોઈ જ સ્માર્ટ ઉપકરણ જો તમે વાપરતા હો તો, નવું અપડેટ આવતાં સાથે જ તેને ઈન્સ્ટોલ કરો. સ્માર્ટ ઉપકરણના સેટિંગમાં જઈ સોફ્ટવેર અપડેટ તપાસવું. એજન્સીએ એમ પણ કહ્યું છે કે, થર્ડ પાર્ટી એપ કે કોઈ પણ વેબસાઈટ પરથી એપ ડાઉનલોડ કરવાથી પણ બચવું જોઈએ.(symbolic image source:google)