Mysamachar.in:રાજકોટ:
ગુજરાતમાં 16મી જૂનથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું. ગઈકાલે સોમવારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં 11.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેને પરિણામે સમગ્ર રાજયને બળબળતા ઉનાળુ તાપ અને ગરમીમાંથી મુક્તિ સાથે, આછેરી રાહત મળી છે. વરસાદના આ રાઉન્ડમાં નોંધપાત્ર બાબત એ રહી કે, પ્રથમ રાઉન્ડમાં મોત નોંધાયા નથી.
ગઈકાલે સોમવારે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સહિતના ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. આ સાથે જ શહેરોમાં પણ હળવી ઠંડકનું વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. જો કે રાજ્યના સેંકડો પંથકમાં પ્રથમ વરસાદે જ વીજતંત્રની પોલ, આ વર્ષે પણ ઉઘાડી પડી ગઈ. જેને કારણે કરોડો લોકોમાં નારાજગીઓ અને રોષ જોવા મળી રહ્યો છે.
સોમવારના વરસાદમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 2 થી 11.5 ઈંચ વરસાદ વરસી પડતાં, ઘણાં ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બની છે. પાલિતાણા શહેર અને પંથકમાં અગિયાર ઈંચ કરતાં પણ વધુ વરસાદ વરસી જતાં શિહોર સહિતના પંથકોમાં પાણી પાણી થઈ ગયું છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ પીપાવાવ અને રાજુલા સહિતના પંથકોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ભાવનગર અને અમરેલી જિલ્લાઓ ઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ વ્યાપક વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો. સોમવારે કુલ 160 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના લગભગ બધાં જ વિસ્તારોમાં સોમવારે પોણાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ ગયો.
કેટલાંક સ્થળોએ સ્થાનિક લોકોએ, કોસ્ટગાર્ડે તથા અન્ય તંત્રએ વરસાદમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવી લીધાં. જો કે ભાવનગર જિલ્લામાં ઘણાં બધાં સ્થળોએ સેંકડો નાનામોટા વાહનો વરસાદના પાણીમાં તણાયા. ઘણાં શહેરોની ગલીઓ અને મુખ્ય માર્ગો ભારે વરસાદને કારણે જાણે કે ધસમસતી નદી બની ગયા હતાં. આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની શકયતાઓ ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓના તંત્રોને એલર્ટ રહેવા કહ્યું છે. 30 જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોમાં સારા એવા વરસાદની સંભાવનાઓ છે.