Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરમાં જુદા-જુદા કારણોસર ‘કચરો’ હંમેશા ચર્ચાઓમાં રહ્યો છે. શહેરમાં આટલાં વર્ષો બાદ પણ, ઘન કચરાના નિકાલની વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં શાસન કે તંત્રને સફળતા મળી નથી. આ સમગ્ર વિષય હંમેશા વિવાદોમાં પણ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંયે મહિનાઓથી, શહેરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલો વેસ્ટ ટુ એનર્જી નામનો ઘન કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ બંધ છે. આ કંપનીની દાદાગીરી એ છે કે, JMC આ કંપનીને નોટિસો મોકલાવે છે પણ આ કંપની મહાનગરપાલિકાને ગણકારતી પણ નથી અને નોટિસોના જવાબ આપવાની તસ્દી પણ લેતી નથી. આમ છતાં શાસન અને તંત્ર આ માથાભારે કંપની વિરુદ્ધ આકરૂં પગલું ભરવાનું ટાળી રહ્યા છે- JMCની આ નીતિ પણ શહેરમાં ચર્ચાઓમાં છે.
-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી શું કહે છે ?..
શહેરના ઘન કચરાના નિકાલ સંબંધે આજે સોમવારે સવારે Mysamachar.in દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી કેતન કટેશિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, હાલમાં શહેરમાંથી દરરોજ આશરે 350-400 ટન જેટલો ઘન કચરો એકત્ર કરવામાં આવે છે અને આ તમામ કચરો રાજકોટ રોડ પરની કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. અહીં જૂનો કચરો પણ અગાઉથી પડેલો હતો અને રોજ અહીં મોટા પ્રમાણમાં કચરો ઠલવાતો હોય, હાલ આ સાઈટ પર આશરે એકાદ લાખ ટન જેટલો કચરો જમા થઈ ગયો છે. આગામી સમયમાં વરસાદના દિવસોમાં કચરાના આ ડુંગરો પર વરસાદ વરસશે ત્યારે શું થશે ? એ પ્રશ્નના જવાબમાં આ અધિકારીએ એમ કહ્યું કે, એવું તો દર વખતે બનતું હોય છે. જે કચરો ભીનો થઈ જાય, એ પછી સૂકાઈ જાય.
અત્રે નોંધનીય છે કે, અગાઉના ચોમાસાઓ વખતે આ સમસ્યા ન હતી કેમ કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત હતો. આ વર્ષે આ પ્લાન્ટ બંધ હોવાથી અહીં ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરો ખડકાઈ રહ્યા છે, ચોમાસાના સમયમાં આ બધી જ ગંદકી અહીં આસપાસના વિસ્તારમાં અનેક તકલીફો ઉભી કરશે અને આખરે આ બધી જ ગંદકી નદીનાળામાં થઈ દરિયામાં ઠલવાશે. પર્યાવરણની દ્રષ્ટિએ આ સમગ્ર વિષય આગામી ચોમાસામાં જટિલ બની શકે છે પરંતુ મહાનગરપાલિકા આ વિષય બાબતે જરા પણ ગંભીર ન હોય એમ આ અધિકારીના જવાબ પરથી સમજાઈ રહ્યું છે !
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ અગાઉ મહાનગરપાલિકા એમ જણાવતી હતી કે, શહેરમાં દૈનિક 300 ટન કચરો નીકળે છે. પછી મહાનગરપાલિકાએ આ આંકડો 350 ટનનો કર્યો. હવે મહાનગરપાલિકા આ અંગે દૈનિક 400 ટનનો આંકડો પણ સંકોચ વગર બોલી રહી હોય, વધતો જતો આંકડો કોઈ ચોક્કસ કારણથી વધી રહ્યો છે કે કેમ- એ સંશોધનનો વિષય લેખાવી શકાય.