Mysamachar.in-જામનગર
ગત્ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવ્યા ત્યારે, તેઓના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાંક સમયથી CMએ એક નવો શિરસ્તો શરૂ કર્યો છે, તેઓ જે જિલ્લાની મુલાકાત લ્યે છે તે જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકને સંબોધિત કરે છે અને સંબંધિત જિલ્લા અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપે છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી જામનગર જીલ્લામાં અલગ-અલગ સરકારી વિભાગોમાં કેટલાક પેધી ગયેલ અધિકારીઓ કોઈને એટલે કે પબ્લિક તો ઠીક પણ ચૂંટાયેલ પદાધિકારીઓને પણ ગાંઠતા ના હોવાનો મામલો મુખ્યમંત્રીના કાન સુધી પહોચ્યો હશે એટલે જ આ બેઠકમાં CMએ અધિકારીઓને એ ટકોર કરવી પડી હતી કે, અધિકારીઓએ જન પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવી જોઈએ અને તેમના ફોન એટેન્ડ કરવાની ચીવટ રાખવી જરૂરી છે. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, લોક પ્રતિનિધિઓએ સૂચવેલા કામોને અધિકારીઓએ યોગ્ય પ્રતિસાદ પાઠવવો જોઈએ.મુખ્યમંત્રીએ આવી સુચના આપવી પડે તે કેટલું ગંભીર કહેવાય…
ફરિયાદ અને સંકલનની આ બેઠકમાં CMએ તમામ સરકારી વિભાગોના અધિકારીઓને કામોમાં ક્વોલિટી જાળવવા અંગે ટકોર કરી હતી. અને જનતાના કામોને પ્રાથમિકતા આપવા પણ અધિકારીઓને ટકોર કરવી પડી હતી. પરંતુ એમના દ્વારા થયેલી ઉપરોકત ટકોરોને કારણે જિલ્લાના સરકારી વિભાગોની હકીકતો છતી થઈ ગઈ હતી.જો કે, એકંદરે મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાની વહીવટી કામગીરીઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો