Mysamachar.in-જામનગર:
રાજ્યની જામનગર સહિતની 4 મહાનગરપાલિકાઓ અને 2 નગરપાલિકાઓને પોતાના શહેરોમાં હવાની ગુણવત્તા સારી બનાવવા માટે એટલે કે, વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકારે રૂ. 100 કરોડની સહાય જાહેર કરી છે. આ નાણાંકીય સહાય આપવાનો નિર્ણય આ મહિને જ, જૂનમાં થયો છે.
રાજ્યની 4 મહાનગરપાલિકાઓ ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગરને તથા 2 નગરપાલિકાઓ ભરૂચ અને અંકલેશ્વરને આ નાણાંકીય સહાય જાહેર કરવામાં આવી. મહાનગરપાલિકાઓને રૂ. 20-20 કરોડ અને નગરપાલિકાઓને રૂ. 10-10 કરોડ આપવામાં આવશે.
આ 6 શહેરોમાં પ્રદૂષણના સ્ત્રોતના અભ્યાસ, ગીચ વિસ્તારોમાં પાર્કિંગ તથા ઘન કચરાના નિકાલ માટેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સહાયના નાણાં આ પ્રકારના કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે. આ સમગ્ર કામગીરીઓ અને કાર્યવાહીઓ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત થશે. શહેરી વિકાસ વિભાગના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને આ માટે નોડલ એજન્સી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

-આ પ્રોગ્રામની જરૂર શા માટે ઉભી થઈ ?..
સમગ્ર રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા તથા સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવવા આ એકશન પ્લાન બનાવવો જરૂરી બની ગયો છે. કારણ કે, ઝડપી શહેરીકરણ, વાહનોમાં સતત થતો વધારો, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને બાંધકામ ઉદ્યોગને કારણે શહેરોની હવાની ગુણવત્તા બગડી રહી છે. આથી સરકારે આ એક્શન પ્લાન અમલમાં લાવવા નિર્ણય કર્યો.
-આ પ્લાન અંતર્ગત ઘણી કામગીરીઓ કરવામાં આવશે..
આ પ્લાન અંતર્ગત વોલ ટુ વોલ કાર્પેટ પદ્ધતિએ રસ્તાઓ બનશે, ગીચ વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થાઓ થશે, બાંધકામના કચરાનું રિસાયકલિંગ થશે, જાહેર જમીનો પર જે બિનસ્થાયી કચરો હશે તેનો નિકાલ કરવામાં આવશે, લેન્ડ ફીલ સાઈટ પર CCTV કેમેરા ગોઠવી કચરો સળગાવવાની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવશે, જો જમીન ઉપલબ્ધ હોય તો નવી લેન્ડ ફીલ સાઈટ ડેવલપ કરવામાં આવશે, ધૂળના પ્રદૂષણને નિયંત્રિત કરવામાં આવશે, શહેરોમાં લીલોતરી વધારવા વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે અને વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ વધારવામાં આવશે.
