Mysamachar.in-જામનગર:
જામનગરમાં લાંબા સમયથી પોલીસ વિભાગમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે. દાખલા તરીકે મોબાઈલ ચોરીની અથવા વાહન ચોરીની ફરિયાદો ઉપરાઉપરી અથવા એક જ દિવસે દાખલ થાય- પછીના ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમ ‘જાહેર’ થાય. અથવા, કોઈ મોટી ચોરીની ફરિયાદ દાખલ થાય અને પછી એવું જાહેર થાય કે, ગણતરીની કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી લેતી પોલીસ- આ પ્રકારના ‘સમાચાર’ જામનગરમાં રોજિંદી બાબત બની ગઈ છે, કોઈને હવે કશું અચરજ થતું નથી.
તાજેતરમાં આવો અન્ય એક નોંધપાત્ર કિસ્સો બહાર આવ્યો. આ મામલો પોલીસ વિભાગમાં 2 અલગ અલગ સ્તરેથી જાહેર કરવામાં આવ્યો. મામલો છે 2 મોબાઈલ ચોર ઝડપાઈ જવાનો.જામનગર પોલીસે 2 મોબાઈલ ચોર ઝડપી લીધાં છે એવું જાહેર કરવામાં આવ્યું. તેની સાથેસાથે જ સિટી DySP જયવીરસિંહ ઝાલાએ મીડિયાકર્મીઓ સમક્ષ એમ કહ્યું કે, અલગઅલગ સ્થળોએથી મોબાઈલ ચોરી કરનારા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, આ શખ્સોના નામો સન્ની અને વિક્રમ છે.

આ 2 આરોપીઓ સંબંધે સિટી બી ડિવિઝન પોલીસે એમ જણાવ્યું કે, પાંચમી જૂને પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ટેક્નિકલ એનાલિસીસ અને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે 2 મોબાઈલ ચોરોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમાચારમાં સિટી બી ડિવિઝન પોલીસે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, જામનગર શહેરમાં ચાર દિવસ અગાઉ મોબાઈલ ફોન તથા ટેબલેટ ચોરીનો ગુનો થયેલો, તે ડીટેકટ કરી લેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ મીડિયાકર્મીઓ સમક્ષ જે વિગતો આપી તેમાં, ચાર દિવસ અગાઉની આ મોબાઈલ તથા ટેબલેટ ચોરીની વાતનો કયાંય ઉલ્લેખ નથી. આ ઉપરાંત સિટી બી ડિવિઝન પોલીસે પણ ચાર દિવસ અગાઉની આ ચોરીનો ઉલ્લેખ પોલીસ યાદીમાં માત્ર ટાઇટલમાં જ કર્યો છે, વિગતોમાં નહીં. આમ આ બંને વાતને એકમેક સાથે સાંકળી લેવાનો પ્રયાસ અધૂરી વિગતો સાથે કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં એમ પણ જાહેર થયું છે કે, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ગત્ તારીખ પહેલી જૂને સવારે 04-30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જય દ્વારકાધીશ ટ્રાવેલ્સ ઓફિસ નજીકથી મોબાઈલ તથા ટેબલેટના એક પાર્સલની ચોરી થયાની ફરિયાદ, દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદ તથા આરોપીઓ ઝડપાઈ ગયાની વિગતો મોટાભાગે સાથે જ જાહેર થઈ હોય વધુ એક વખત, આરોપીઓ ઝડપાઈ ગયાનું બહાર આવે ત્યારે અથવા તેના થોડા કલાકો અગાઉ ગુનાઓની વિગતો પણ જાહેર કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આરોપીઓ ઝડપાઈ ન જાય ત્યાં સુધી, ફરિયાદ કે ફરિયાદોની વિગતો ઢંકાયેલી શા માટે રહે છે અને ફરિયાદ કે ફરિયાદો નોંધાતા, તરત જ પોલીસ આરોપીઓને શોધી લીધાંની જે જાહેરાતો કરે છે એ આખી પ્રોસેસ લોકોમાં અચરજ પેદા કરી રહી છે. જામનગરમાં વધુ એક વખત આમ બન્યું છે ! અને જાહેર કરવામાં આવેલી વિગતો પણ ‘એકસરખી’ ન હોય, આ મામલો ચર્ચાઓમાં સાંભળવા મળી રહ્યો છે.
