Mysamachar.in-જામનગર:
દર વર્ષે પાંચમી જૂને આખું ગુજરાત જાણે કે પર્યાવરણને પ્રેમ કરતું હોય અને પ્રદૂષણને ધિક્કારતું હોય એમ જ્યાં જૂઓ ત્યાં, રોપા વિતરણ અને રોપા આરોપણની વાતો થતી હોય પરંતુ જમીની હકીકત એ છે કે, રાજ્યમાં કયાંય ‘સરકાર’ને પર્યાવરણ પ્રત્યે ચિંતાઓ નથી અને પ્રદૂષણના દૂષણને કયાંય, કોઈ ગંભીર લેખતું નથી.
રાજ્યમાં વનવિભાગની હજારો હેક્ટર જમીનો પર ‘દબાણ’ છે જેના આંકડા ખુદ લોકસભા જાહેર કરતી રહે છે, વિધાનસભા પણ લગભગ સ્થિર રહેલા ગ્રીન કવરના અને દબાણોના આંકડા જાહેર કરતી હોય છે. પરંતુ હકીકત એ છે કે, રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અસરકારકતા અંગે શાસન ચિંતિત નથી.
દાખલા તરીકે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની પ્રાદેશિક કચેરીમાં કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓનું મહેકમ છે- તેના કોઈ જ આંકડાઓ રાજ્ય સરકારે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નક્કી કે જાહેર કરેલાં જ નથી ! એટલે કેટલી જગ્યાઓ, કઈ કચેરીમાં ખાલી છે- એ બાબત રેકર્ડ પર જ ન આવે !! અને, આ બોર્ડમાં કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીઓ કરવી જોઈએ એ બાબતે પણ સંપૂર્ણ લોલંલોલ ચાલી રહ્યું છે.

-જામનગરના મુખ્ય અધિકારી શું કહી રહ્યા છે ?
આજે શુક્રવારે સવારે Mysamachar.in દ્વારા વિવિધ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના અધિકારી જી.બી.ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. જામનગર પ્રાદેશિક કચેરીમાં કેટલાં અધિકારીઓ અને કર્મચારીઓ હોવા જોઈએ અને હાલ કેટલાં છે, કેટલી ખાલી જગ્યાઓ છે- એ આંકડાઓ આપવાની એમણે અશક્તિ દર્શાવી અને કહ્યું કે, અમારે ત્યાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અન્ય સરકારી વિભાગોમાં હોય છે એવી નિયત મહેકમ, નિશ્ચિત ભરતીઓ એવી કોઈ વ્યવસ્થાઓ જ રાજ્યભરમાં કયાંય નથી.
આ ઉપરાંત પર્યાવરણને જે ઉદ્યોગો નુકસાન કરતાં હોય તે ઉદ્યોગો પાસેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ચોક્કસ રકમો વળતર તરીકે વસૂલે છે. આ બાબતે પૂછવામાં આવતા આ અધિકારીએ જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના આ આંકડાઓ અલગથી જુદાં પાડવામાં આવતા નથી. રાજ્ય બોર્ડ પણ આ જિલ્લાવાઈઝ આંકડાઓ અલગ રાખતું નથી, જાહેર કરતું નથી !
ટૂંકમાં, આ અધિકારી સાથેની ટેલિફોનિક વાતચીતનો સાર એ નીકળે છે કે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકાર પ્રદૂષણ નિયંત્રણ કે પર્યાવરણ સંરક્ષણ બાબતે પારદર્શક કે ગંભીર નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું સંપૂર્ણ સંચાલન કોઈ ખાનગી પેઢી માફક થઈ રહ્યું છે. કોઈ જ વિગતો બહાર આવતી નથી. અધિકારીઓ કશું જાહેર કરતાં નથી. તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, રાજ્યમાં પાંચમી જૂને પર્યાવરણ દિવસ નિમિતે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંબંધિત જે વાતો થઈ રહી છે એ તમામ વાતો ‘સરકારી’ છે, જેનો હકીકતો સાથે કોઈ જ સંબંધ નથી.
