Mysamachar.in-જામનગર:
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 7 જૂને એટલે કે શનિવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે જામનગર શહેર અને જિલ્લાના કુલ રૂ. 430 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે અને એ માટેની તડામાર તૈયારીઓ દરેક સંબંધિત વિભાગોમાં ચાલી રહી છે. જો કે, આ કાર્યક્રમની સત્તાવાર વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રના હવાલે સંપૂર્ણ વિગતો વહેતી કરવામાં આવી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા પ્રમાણે, આગામી શનિવારે સવારે CMના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ કાર્યક્રમ શહેરના ટાઉનહોલ ખાતે યોજાશે અને એક કલાક કે તેથી થોડા વધુ સમયમાં આશરે રૂ. 430 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કરવામાં આવશે જેમાં મહાનગરપાલિકાથી માંડીને જિલ્લા પંચાયત સુધીના તમામ કામોનો સમાવેશ થશે.

આ હિસાબે જોઈએ તો મુખ્યમંત્રીની ટાઉનહોલમાં જે એક એક મિનિટ પસાર થશે તે દરેક મિનિટનું મૂલ્ય જામનગરના કામોના સંદર્ભમાં આશરે રૂ. 7.16 કરોડ લેખી શકાય. રાજ્યના સચિવ દ્વારા આ માટે એક વીડિયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં જામનગર શહેર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. આ તૈયારીઓલક્ષી બેઠક જામનગર મહાનગર સેવાસદનમાં યોજવામાં આવી હતી.
આ કોન્ફરન્સ બાદ જે વિગતો વહેતી થઈ છે તેમાં કહેવાયું છે કે, પટેલ પાર્ક તથા હાપા માર્કેટ યાર્ડ તેમજ ઢીંચડા નજીકના 3 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા કોર્પોરેશનમાં બનેલા નવા સભાગૃહ (અટલ બિહારી જનરલ બોર્ડ)નું CMના હસ્તે લોકાર્પણ થશે. આ સાથે જ આશરે રૂ. 399 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે કોર્પોરેશનનો સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,ઓડિટોરિયમ, મેડિકલ કોલેજની 2 હોસ્ટેલ, 2 ફ્લાયઓવર વગેરે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ટાઉનહોલમાં એકાદ કલાકમાં આ કાર્યક્રમ આટોપી લીધાં બાદ CM પક્ષના સ્થાનિક નેતાઓ વગેરે સાથે એક બેઠક યોજે તેવી તૈયારીઓ ચાલી રહી છે. તમામ તંત્રો તથા શાસકપક્ષના સ્થાનિક એકમો (શહેર અને જિલ્લો) સમગ્ર વ્યવસ્થાઓ માટે સંકલન કરી રહ્યા છે અને જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.(file image)
