Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે. ભાવિકોને દ્વારકાધીશજીના દૈદિપ્યમાન શ્વેત પરિધાન સાથેના ઉત્સવ દર્શન નિહાળી ભાવિકોને ભાવવિભોર થાયા છે. પૂજારી પરિવાર દ્વારા ફુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે. જેના દર્શન મનોરથોનો હજારો ભાવિકો સન્મુખ તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ દેશ વિદેશમાં લાખો ભાવિકો લાભ લઈ રહ્યા છે.

– પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા તથા કરતબો સાથે પગપાળા આવતા યાત્રિકો –
ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબાઓ તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. પદયાત્રિકોનું સેવાભાવી સંસ્થાઓ તથા સેવાકેમ્પના સંચાલકો દ્વારા સ્વાગત સાથે ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સહિયારા પ્રયાસો કરવામાં આવી રહયા છે. ટાઢ-તાવ, ઠંડી – ગરમી, તડકો છાંયો એ બધુ એક તરફ રાખીને ડી.જે.ના સથવારે નાચતા-નાચતા અંતર કાંપતા પદયાત્રિકોની કાળિયા ઠાકોર પ્રત્યેની લગની જ કાંઈક અલગ હોય છે. પદયાત્રિકોનો જુસ્સો જોતા એવું લાગે છે કે તેમની દ્વારકાધીશ પ્રત્યેની લગની કેટલી પ્રબળ છે.(તસ્વીર:કુંજન રાડિયા)