Mysamachar.in-જામનગર:
શહેર ધીમે ધીમે મહાનગર બની રહ્યું હોય, શહેરના મુખ્ય વિસ્તારોમાં જમીનોના અને બાંધકામના ભાવો આસમાન તરફ ગતિ કરી રહ્યા છે, આ સ્થિતિનો લાભ તથા ગેરલાભ ઉઠાવવા, હાથ પરની જમીનમાંથી વધુમાં વધુ ‘માલ’ તારવી લેવાની લાલચ સ્વાભાવિક રીતે જ, કોઈને પણ જાગે. પરંતુ આવા મામલામાં જ્યારે નિયમો અને જોગવાઈ બાજુ પર મૂકી, ગેરકાયદેસર બાંધકામ દ્વારા રૂપિયા રળી લેવાના ખેલ પડે છે ત્યારે, વિવાદો પેદાં થતાં હોય છે, આવો વધુ એક વિવાદ શહેરના ટાઉનહોલ જેવા મોકાના વિસ્તારમાં પણ બહાર આવ્યો છે. જો કે, આ વિવાદમાં જમીનધારકની દાળ ગળે એવું દેખાતું નથી કેમ કે, પ્રથમ દ્રષ્ટિએ જ દેખાઈ રહ્યું છે કે, આ મિલકતધારક કોર્પોરેશનને ભાજીમૂળો સમજી રહ્યો છે. પરંતુ કોર્પોરેશન આ મામલાને આગળ વધવા દેશે નહીં, એમ હાલ સમજાઈ રહ્યું છે.
આ વિવાદની ટૂંકી વિગતો અનુસાર, ટાઉનહોલ વિસ્તારમાં અગાઉ એક તબીબની મિલકત હતી, જેમાં એક વિશાળ હોલ હતો. બાદમાં કહેવાય છે કે એક વ્હોરા વેપારીએ આ મિલકત ખરીદી લીધી. મિલકતની ખરીદી બાદ તેણે એક હોલના સાત ભાગ કરી, કોર્પોરેશનની મંજૂરી વગર દુકાનો ખડકી દઈ મોટી મલાઈ તારવી લેવા ખેલ પાડ્યો,
પરંતુ રોન નીકળી. અગાઉ જે હોલ હતો તે પણ ગેરકાયદેસર બાંધકામ હોવાથી જેતે સમયે તેને ઈમ્પેક્ટ ફી કાયદા મુજબ સરખું કરાવી લેવાયું. આ વખતે પણ મિલકતધારકને એમ હતું કે, આપણાં પર કૃપા ધરાવતી તાકાત રસ્તો શોધી આપશે. પરંતુ મામલામાં પેચ ફસાયો. કોર્પોરેશને આ મિલકતધારકની સાન ઠેકાણે લાવવા આ સાત દુકાનોને અત્યારે તો સીલ ઠપકારી દીધું. શહેરમાં ગેરકાયદેસર બાંધકામની માનસિકતાને હવે જો બ્રેક લગાવવામાં નહીં આવે તો, જંગલ બની ગયેલું આ શહેર વધુ અડાબીડ જંગલ બની જશે, અને આવી માનસિકતા ધરાવતાં તત્વોને ઉતેજન મળતું રહેશે.
આ આખા મામલામાં કોર્પોરેશનની ભૂમિકા પણ વિચિત્ર હોવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે. ટાઉન પ્લાનિંગ શાખાના 2 મુખ્ય અધિકારીઓ સિલિંગ અંગે કહે છે કે, ખબર નથી. અમે ગાંધીનગર છીએ. એસ્ટેટ શાખાના મુખ્ય અધિકારી દીક્ષિત પોતે પણ આ મામલામાં ‘અજાણ’ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. તો પછી, રાતોરાત આ સિલિંગ થયું કોની સૂચનાથી અને કોના માર્ગદર્શન મુજબ ??!