Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર શાખા વિરુદ્ધ મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ આક્ષેપો કર્યા છે, સામા પક્ષે અધિકારીએ પણ ખરી વાસ્તવિકતા શું છે તે વાત પોતાના પક્ષ તરીકે રજુ કરી છે.મહાનગરપાલિકાના વિપક્ષ પૂર્વ નેતા અસલમ ખિલજીએ લેખિતમાં કમિશનરને રજૂઆત કરી છે કે, ભૂગર્ભ ગટર શાખા ભ્રષ્ટાચાર શાખા છે. આઠેક વર્ષ અગાઉ રિવરફ્રન્ટ નળવાળી વાવથી શરૂ કરી રામેશ્વર નગર પમ્પિંગ સ્ટેશન સુધી, ભૂગર્ભ ગટર બનેલી, જેની સફાઈ કામગીરીઓ તો અલગ મુદ્દો છે- આ ભૂગર્ભ ગટર કોઈ શોધી આપે તો તેને રૂ. 51 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે. (આ ગટર માત્ર કાગળ પર છે ?!)
આ ઉપરાંત કમિશનર પરના આ પત્રમાં કહેવાયું છે: મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં એટલે કે ગઢની રાંગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવી ત્યારે હેતુ એ હતો કે, ઘરોના ગંદા પાણી ભૂગર્ભ ગટરમાં જાય, ત્યાંથી રામેશ્વર નગર પમ્પિંગ સ્ટેશનમાં જાય. પણ હકીકત એ છે કે, ભૂગર્ભ ગટરોના આ પાણી નદીમાં જાય છે, ત્યાંથી બોરમાં જાય છે, ત્યાંથી લોકોના શરીરમાં અને તેથી નગરજનોનું આરોગ્ય જોખમાય છે. હાલમાં ઘરેઘરે માંદગીના ખાટલાં છે. કાલાવડ નાકા બહાર નગરસીમ વિસ્તારમાં પણ આ સ્થિતિઓ છે.
આ પત્રમાં વધુમાં કહેવાયું છે: ઉપરોકત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સફાઈ થતી નથી. એક પણ અધિકારી આ વિસ્તારોની મુલાકાતે આવતાં નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે. આ અંગે વારંવાર રજૂઆત થઈ છે. કોઈ પગલાંઓ લેવાતા નથી. 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કમિશનરની કચેરીએ ધરણાં કરવાની ફરજ પડશે એમ અસલમ ખિલજીએ કમિશનર પરના આ પત્રમાં જણાવ્યું છે અને આગળ લખ્યું છે કે, આ શાખા વર્ષે 150 કરોડનો ખર્ચ કરે છે. ભૂગર્ભ ગટર કુંડીની ક્ષમતા પ્રમાણે જે પાઈપ લેવાના હોય છે, તે પાઈપ લેવામાં આવતા નથી. આ ખૂબ ગંભીર બાબત છે. જેને લીધે સફાઈના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ મુદ્દાની પણ તપાસ થવી જોઈએ, એમ કમિશનર પરના પત્રમાં કહેવાયું છે.
-ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર અમિત કણસાગરા કહે છે…
Mysamachar.in સાથેની વાતચીતમાં નાયબ ઈજનેર અમિત કણસાગરાએ જણાવ્યું કે, જ્યારે જ્યારે ભૂગર્ભ ગટર સફાઈ અંગે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે સફાઈ કામગીરીઓ કરવામાં આવે છે, ફરિયાદોના નિકાલ કરવામાં આવે છે. આજની તારીખે પણ સફાઈ કામગીરીઓ ચાલુ છે. ભૂગર્ભ ગટરના પાણી મહાનગરપાલિકા દ્વારા નદીમાં ઠાલવવામાં આવતાં નથી. ભૂગર્ભ ગટરના પાણી સ્ક્રીન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે. કોઈ સ્ક્રીન તોડી નાંખે છે. સ્ક્રીનની ચોરી પણ થઈ જાય છે. ભૂગર્ભ ગટરો ચોક થઈ જાય છે, તેમાં માટી, કચરો અને મૃત પ્રાણીઓના અવશેષો હોય છે. જ્યારે જ્યારે આ ગટરો ચોકની ફરિયાદો મળે છે, ગટરોનું ચોકીંગ દૂર કરવા કામગીરીઓ કરવામાં આવે છે. આજની તારીખે પણ કામગીરીઓ ચાલુ છે. નદીકાંઠાના કેટલાંક વિસ્તાર એવા છે જ્યાં સફાઈ માટેના સાધનો લઈ જઈ શકાતા નથી, ત્યાં માણસોથી સફાઈ કરાવવામાં આવે છે.