Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં ગત્ ઓગસ્ટના આખરી દિવસોમાં ભારે વરસાદ, રણજિતસાગર ઓવરફલો તથા રંગમતી ડેમમાંથી છોડાયેલાં પાણીને કારણે, પૂરની સ્થિતિઓ જોવા મળી હતી. લાખો લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જેના સર્વે પછી હવે સહાયના નાણાં બેંક ખાતામાં જમા કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. જેને કારણે ઘણાં અસરગ્રસ્તો રાહત અનુભવી રહ્યા છે.
જામનગર શહેરમાં ગત્ 27-28 ઓગસ્ટ દરમિયાન પૂરની સ્થિતિઓ સર્જાઈ હતી. હજારો ઘરોમાં અને દુકાનો વગેરેમાં પૂરના પાણી ઘૂસી ગયા હતાં. લોકોને ઘરવખરી સહિતની વિવિધ પ્રકારની નુકસાની સહન કરવી પડી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા રગડધગડ રીતે સર્વે કામગીરીઓ કરવામાં આવી હતી. જે અનુસંધાને લાખો નાગરિકો પૂરસહાયનો ઘણાં દિવસોથી ઈંતજાર કરી રહ્યા છે. હવે આ પૂરસહાય ચૂકવણીની કામગીરીઓ શરૂ થઈ છે.
તંત્ર દ્વારા પાછલાં દિવસો દરમિયાન સોગંદનામા સાથે પૂરસહાયના ફોર્મ એકત્ર કરવામાં આવ્યા હતાં. જેના આધારે પૂર અસરગ્રસ્તોના બેંક એકાઉન્ટમાં રોકડ સહાય રકમો જમા કરાવવાની કામગીરીઓ શરૂ થઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં લોકોને કુલ 21,71,05,000 ની સહાય ચૂકવવામાં આવશે, એવી ગણતરીઓ જાહેર થઈ છે.
ઘરવખરી નુકસાન ઉપરાંત ઘણાં લોકો પૂર દરમિયાન કામ પર જઈ શક્યા ન હતાં, આ નુકસાન બદલ પણ સહાય આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પૂર સમયે વોર્ડ નંબર 1,2,3,4,10,11,12 અને 16 ના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી પથરાઈ ગયા હતાં અને હજારો લોકોએ ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમારની દેખરેખ મુજબ સહાય ચૂકવણાંની કામગીરીઓ ચાલી રહી છે. બેડી વિસ્તારમાં પણ સહાય ચૂકવાશે, જો કે તેમાં થોડાં સમયનો વિલંબ થઈ શકે છે. કારણ કે ત્યાં સર્વે કામગીરીઓ બાદમાં થયેલી.(file image)