Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં એક મહિલાએ પોતાના પતિ સાથે જમવા બાબતે ઝઘડો થતાં દસ વર્ષના પુત્રને સાથે રાખીને ઘરેથી નીકળી ગયા વાડી વિસ્તારમાં માતા પુત્ર એ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધાના મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની કાલાવડ મથકેથી જાહેર થયેલ વિગતો એવી છે કે કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતી અને ખેતી કામ કરતી હર્ષિદાબેન મેરૂભાઈ સાડમિયા અને તેનો 10 વર્ષનો પુત્ર મયુર મેરૂભાઈ કે જે બંનેએ ગઈકાલે બપોર બાદના અરસામાં વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બંને બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓને કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બન્નેના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
પોલીસે વિશેષ તપાસ કરતા મૃતક હર્ષિદાબેનને જમવા બાબતે તેના પતિ મેરૂભાઈ સાથે ઝઘડો થયો હતો. તેથી મનમાં લાગી આવતાં તેણી પોતાના પુત્ર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ લલોઈથી ગલાપાદરમાં વાડી વિસ્તારના રસ્તે ઝેરી દવા પીધેલી હાલતમાં માતા પુત્ર મળી આવ્યા હતા.(symbolic image source:google)
