Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે આજે જામનગરમાં પણ વકીલોએ વધુ એક વખત વકીલોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને બધાં જ જિલ્લાઓમાં આવેદન આપવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં. જામનગરમાં પણ આવેદન આપવામાં આવ્યું. આજે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા તથા મંત્રી મનોજ ઝવેરીની આગેવાનીમાં વકીલોએ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપી, રાજ્યભરમાં વકીલોની સુરક્ષા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા, વધુ એક વખત માંગ કરી છે. વકીલોની આ માંગ જૂની છે. વકીલો પર હુમલા થતાં રહે છે, વકીલોની હત્યાઓ પણ થાય છે, પક્ષકારો માટે લડતાં વકીલોના જીવ પર જોખમ હોય છે, વગેરે રજૂઆત સાથે સમગ્ર રાજ્યમાં આ રીતે આવેદનપત્ર આપી વકીલોની સલામતી અને સુરક્ષા માટે રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગણી કરી છે. આ બાબતે સ્થાનિક જન પ્રતિનિધિઓ ઉપરાંત રાજ્યના કાયદામંત્રી સમક્ષ પણ રજૂઆત થઈ છે.
અત્રે એ યાદ અપાવવું જોઈએ કે જામનગર શહેરમાં થોડા વર્ષના અંતરમાં જ બે જાણીતા વકીલોની સરાજાહેર હત્યાઓના બનાવો સામે આવી ચુક્યા છે જેમાં વકીલ કિરીટ જોશીની હત્યા શહેરના ભરચક ટાઉનહોલ વિસ્તારમાં થઇ હતી જયારે તાજેતરમાં જ હારુન પલેજા નામના વકીલની હત્યા બેડી વિસ્તારમાં નિર્મમ રીતે કરવામાં આવી હતી.ત્યારે પણ જામનગરના વકીલ મંડળે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી.