Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યના તમામ શહેરોમાં અને જિલ્લામથકોએ મિલકતોના દસ્તાવેજની નોંધણી કચેરીઓ ખૂબ જ મહત્ત્વની જગ્યા હોય છે. અહીં આખો દિવસ મિલ્કત ખરીદનાર, વેચનાર, સાક્ષીઓ, વકીલો અને બોન્ડ રાઈટર તેમજ જમીનમકાનોના દલાલોની ભારે અવરજવર રહેતી હોય છે. સરકાર કચેરીઓમાં થતી આ પ્રકારની ગિરદી ઓછી કરવા ઈચ્છે છે, તેથી સરકારે આ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સમયે કોણ કોણ હાજર રહી શકે, તે અંગે એક પરિપત્ર બહાર પાડ્યો. પરંતુ આ પરિપત્રને કારણે મોટો વિવાદ થયો છે. ખાસ કરીને વકીલો રોષે ભરાયા છે, રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આ વિરોધ જોવા મળે છે.
સરકારે આ પરિપત્રમાં કહ્યું છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલ્કતોની દસ્તાવેજ નોંધણી સમયે મિલ્કત ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. પરિપત્રમાં આ માટે અનધિકૃત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી દસ્તાવેજોનું કામ સંભાળતાં વકીલો એવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કે, વકીલોનો અનધિકૃત વ્યક્તિમાં સમાવેશ કેવી રીતે થઈ શકે ? સરકાર આ પરિપત્રમાં અનધિકૃત શબ્દની વ્યાખ્યા શું કરે છે ? એવો પ્રશ્ન વકીલો પૂછી રહ્યા છે.
સરકારે દસ્તાવેજ નોંધણી સમયે વકીલોની હાજરીને ગેરકાયદેસર ઠરાવતાં વકીલો રોષે ભરાયા છે અને ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વકીલો તેઓને કચેરીમાં હાજર રહેવા દેવાની માંગ કરી રહ્યા છે. સરકારે આ પરિપત્ર આમ તો 3 માર્ચ જાહેર કર્યો, પરંતુ પરિપત્રનો વિરોધ હવે શરૂ થયો છે. નોંધણી કચેરીઓમાં વકીલોની માફક બોન્ડ રાઈટરની હાજરીને પણ ગેરકાયદેસર ઠરાવવામાં આવી છે.
વકીલોની દલીલ એવી છે કે, દસ્તાવેજ નોંધણી સમયે સામાન્ય માણસ તો ઠીક, ઘણાં બધાં કેસમાં શિક્ષિત વ્યક્તિઓ પણ મિલ્કતો અંગેની અટપટી કાયદાકીય પ્રક્રિયાઓ અને બાબતોથી અજાણ હોય છે, આવા સમયે પક્ષકારોના હિતો અને અધિકારની રક્ષા માટે વકીલની હાજરી જરૂરી બની જતી હોય છે. વકીલોની ગેરહાજરીમાં પક્ષકારો હાલાકીઓ અનુભવશે.
આ મામલામાં વકીલો એટલાં બધાં રોષે ભરાયા છે કે, એવો પણ આક્ષેપ સાંભળવા મળી રહ્યો છે કે, ભૂતકાળમાં 32-ક સ્ટેમ્પ ડયૂટી કચેરીઓમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થયો હતો. અને, લાખો અરજદારો ખૂટતી સ્ટેમ્પ ડયૂટી બાબતે ખૂબ હેરાનગતિઓ ભોગવી ચૂક્યા છે.