Mysamachar.in:જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખેતીના પાકો માટે પાણી મેળવવા, લાખો ખેડૂતો આજની તારીખે ભગવાનના ભરોસે જીવે છે, કેમ કે તેઓનાં વાડીખેતરો સુધી હજુ પણ સિંચાઈના પાણી પહોંચાડી શકાયા નથી. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા, કચ્છ અને જામનગર જિલ્લાના ખેડૂતોની હાલત બહુ કફોડી છે. સિંચાઈ વિભાગની કામગીરીઓ આ ત્રણ જિલ્લાઓમાં અસરકારક જોવા મળી નથી, એમ ખુદ સરકારના આંકડાઓ પરથી દેખાઈ આવે છે.
ચોમાસામાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે, તેની તસ્વીરો ખૂબ જ વાયરલ થાય છે, નવા પાણીમાં ફૂલો વહેવડાવવાના સમારંભો યોજાય છે અને સર્વત્ર આનંદ મંગલના ગીતો ગૂંજતા સંભળાય છે. પરંતુ અહીં સો મણનો સવાલ એ છે કે, ખેડૂતોને પાકો માટે આ પાણી પહોંચાડી શકાય છે ? આ પ્રશ્નનો જવાબ ચિંતાપ્રેરક છે, હજુ પણ રાજ્યની 50 ટકા ખેતીની જમીન સુધી સિંચાઈના પાણી પહોંચતા નથી.

આ પ્રકારની સ્થિતિને કારણે પાકોને પાણી આપવા ખેડૂતોએ આકાશના એટલે કે ભગવાનના ભરોસે બેસી રહેવું પડે છે અથવા સધ્ધર ખેડૂતો પાસેથી પાણી વેચાતું લેવું પડે છે. ખેતીલાયક જમીનો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની બાબતમાં બનાસકાંઠા જિલ્લો સૌથી દુ:ખી છે, આ જિલ્લાની 4,32,794 હેક્ટર જમીન એવી છે જેને સિંચાઈનું પાણી મળતું નથી.
કચ્છ જિલ્લાની નેતાગીરી પણ આ બાબતમાં કશું કૌવત દેખાડી શકી નથી. આ જિલ્લાની 3,96,604 હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી. જામનગર જિલ્લાના ખેડૂતોની કમનસીબી પણ ઘાટી છે, આ જિલ્લાની 2,82,245 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળતું નથી. આ વિસ્તારોમાં આમ છતાં કૃષિ મહોત્સવ ઉજવાતા રહેતાં હોય છે. સિંચાઈના પાણીની અછતના મામલે જામનગર જિલ્લો રાજયમાં ત્રીજા ક્રમે છે, એ ચિંતાપ્રેરક મુદ્દો નથી ?!

રાજ્યના લગભગ બધાં જ જિલ્લાઓમાં સિંચાઈના પાણીની રામાયણ છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ગીર સોમનાથ, મોરબી, વડોદરા, નર્મદા, વલસાડ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓના લાખો ખેડૂતો આ મુદ્દે દુ:ખી છે. ભગવાન ભરોસે જીવે છે.
રાજ્યની 51 લાખ હેક્ટર ખેતીની જમીનને આજની તારીખે સિંચાઈનું પાણી મળતું નથી. બીજી તરફ ઉનાળામાં ખેડૂતો કેનાલ મારફતે વધુ પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરતાં હોય છે. રાજ્યમાં નર્મદા કેનાલો પૂર્ણ કરવામાં આવી રહી છે એવા સરકારી દાવાઓ વચ્ચે હકીકત એ છે કે, આ કામો વર્ષોથી અધૂરા હોય, લાખો ખેડૂતો હાલાકીઓ વેઠી રહ્યા છે.
રાજ્યનો જળસંપતિ વિભાગ વારંવાર એવો દાવો કરે છે કે, નવા બેરેજ, ચેકડેમ, તળાવની ક્ષમતા વધારીને, નવી કેનાલો બનાવીને, નવી પાઈપલાઈન પાથરીને સિંચાઈ વિસ્તાર તબક્કાવાર વધારવામાં આવી રહ્યો છે. જેની સામે હકીકત એ છે કે, રાજ્યમાં 51,68,674 હેક્ટર જમીનને સિંચાઈના પાણી મળતાં નથી.
સરકાર દ્વારા નવા ડેમ બનાવવાની યોજના વર્ષોથી અધ્ધરતાલ છે. નર્મદા કેનાલોના કામો વર્ષો વીતી ગયા બાદ પણ અધૂરાં છે. સરદાર સરોવર ડેમમાંથી વધુ પાણી આપવામાં આવતું નથી, પાણીની આ અછતની ખેતીના પાકો અને ખેડૂતોની આવક પર માઠી અસરો થઈ રહી છે. રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી, જ્યાં સિંચાઈની સંપૂર્ણ વ્યવસ્થા થઈ શકી હોય. સમગ્ર રાજ્યમાં ખેતીમાં સિંચાઈના પાણીની તંગી છે.
