Mysamachar.in-જામનગર:
જામનગર શહેર દિવસે દિવસે વિસ્તાર પામી રહ્યું છે. વાહનોની સંખ્યા તથા આંતરિક અવરજવર પણ વધી રહ્યા છે. આ ઉપરાંત રેલવે ટ્રેક શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતો હોય, વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં સરકારનો અભિગમ પણ ફાટક મુક્ત શહેરનો છે અને આ સુત્રને સાર્થકતાની દિશામાં અમલી બનાવી જામનગર શહેર કઈ રીતે ફાટકમુક્ત બની શકે તે દિશામાં ફ્લાયઓવર બ્રીજ અને અન્ડર બ્રીજની દિશામાં અલગ અલગ કામો આગળ ધપી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ નિર્માણ માટેની કામગીરી છેલ્લાં કેટલાંક વર્ષોથી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ શહેરમાં વધુ બે ઓવરબ્રિજ-ફલાયઓવર બનવા જઈ રહ્યા છે તેમાંથી રેલવે ઓવરબ્રિજ હાપા માર્કેટ યાર્ડ રોડ પર આકાર લઇ રહ્યો છે અને ચાલી રહેલ આ કામ 50 % જેટલું પૂર્ણ થઇ ચુક્યું હોવાનું જાણવા મળે છે. હાપા માર્કેટ યાર્ડ પાસે રેલ્વે ફાટક(LC નં. 188)પર રૂ. 41.89 કરોડનાં ખર્ચે બનનારા ઓવરબ્રિજની કુલ લંબાઈ 722.34 મીટર રહેશે (1 કિમી એટલે 1,000 મીટર).
હાલમાં કાલાવડ નાકા બહારનાં વિસ્તારોનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. મહાપ્રભુજી બેઠક નજીક નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થતાં હવે આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી થશે. આ તમામ વિસ્તારોનાં વાહનો સરળતાથી રાજકોટ રોડ પર પ્રવેશ તથા નિકાસ મેળવી શકે, યાર્ડમાં અવરજવર કરતાં હજારો વાહનો રેલ્વે ક્રોસિંગ પરની વાહનોની લાંબી કતારોમાંથી મુક્તિ મેળવી શકે તથા શહેરને ફાટકમુક્ત બનાવવાની દિશામાં એક વધુ પગલું ભરી શકાય તથા એ રીતે અકસ્માતો તથા ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ બ્રીજ ખૂબ ઉપયોગી પૂરવાર થશે.
જામનગર મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અંકલેશ્વરની રચના કન્સ્ટ્રકશન નામની પેઢીને સોંપ્યો છે. વર્ષોથી આ કંપની રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફ્લાયઓવર, ઓવરબ્રીજ, અન્ડરબ્રીજના નિર્માણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.અને હાલ જામનગરમાં નિર્માણ પામી રહેલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ પણ આ કંપની દ્વારા કુશળ કારીગરો, આધુનિક મશીનીરી અને બહોળા મેનપાવર સાથે રાત દિવસ કામગીરી ચાલી રહી છે.
આ બહુહેતુક હાપા રેલ્વેબ્રીજનું કામ યોગ્ય અને ગુણવતામાં બાંધછોડ વિના પરિપૂર્ણ થાય તે માટે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર મનપાના પદાધિકારીઓ મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિશ્ના સોઢા અને સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિતની ટીમ સાથે સંકલન સાધી મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શનમાં આસી.કમિશ્નર વહીવટ અને સીટી ઈજનેર ભાવેશ જાનીની સીધી દેખરેખ હેઠળ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગ દ્વારા ચાલી રહ્યા છે.
હજારો નગરજનો તથા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી યાર્ડ ખાતે આવતા જતાં હજારો વાહનચાલકો માટે આ પ્રોજેક્ટ ખૂબ જ આશિર્વાદરૂપ પૂરવાર થશે.અને છેલ્લે જાણવા મળતી વિગતો મુજબ આ કામ જોરશોરથી સતત આગળ ધપી રહ્યું છે અને અડધોઅડધ કામ પૂર્ણ થઇ ચુક્યું છે, બાકીનું કામ નિષ્ણાત ટીમો દ્વારા અધિકારીઓના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે.
-આ રહી ઓવરબ્રિજની ટેકનિકલ વિગતો
કુલ લંબાઈ: 722.34 મીટર
રેલ્વે પોર્શન: 118.92 મીટર
એપ્રોચ પોર્શન: 603.42 મીટર (બંને તરફનાં કુલ મીટર)
બ્રિજની પહોળાઈ: 12 મીટર
બ્રિજની કલિયર ઉંચાઈ: 8.705 મીટર
બ્રિજની બંને બાજુ સર્વિસ રોડની પહોળાઈ: 6.50 મીટર